ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ધામણી ચારીપાડા ફળીયાના 20 વર્ષીય યુવક ભરતભાઈ દિવાએ પ્રેમસંબંધમાં ખોટું લાગતાં આપઘાત કરી લીધો છે. યુવકે પોતાના ખેતરમાં આવેલા ફાફડાના ઝાડની ડાળીએ લાલ રંગની નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ મૃતકના પિતાએ ધરમપુર પોલીસ મથકે આપેલી જાહેરાત મુજબ, ભરતભાઈને છેલ્લા ત્રણ વર્ષથી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને બન્નેના લગ્ન નક્કી પણ થયા હતા. પરંતુ છેલ્લા એક મહિનાથી બન્ને વચ્ચે અણબનાવ થતાં યુવકને વાતનું ખોટું લાગી આવ્યું હતું. આ જ કારણે તેણે આત્મહત્યાનો આશરો લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
ઘટના બાદ ધરમપુર પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ધરમપુર સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઘટનાએ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોએ પ્રેમસંબંધમાં થતા માનસિક તણાવ અને પરિવારની સલાહના અભાવે યુવાનોના આવા પગલાં વધી રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરી છે.











