નર્મદા: ડેડિયાપાડા-સાગબારા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુંભખાડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું નિર્માણ અંદાજિત રૂપિયા 2.11 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત કણબીપીઠા-દેવમોગરા રોડનું અંદાજિત રૂપિયા 8.43 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કાર્ય હાથ ધરાશે.
આ બંને યોજનાઓ પૂર્ણ થતા સ્થાનિક નાગરિકોને રોજિંદી અવરજવર વધુ સુગમ બનશે અને ગ્રામ્ય વિસ્તારોના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. સાથો સાથ આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતા-દેવમોગરાના દર્શનાર્થે આવતા ત્રણ રાજ્યોના શ્રદ્ધાળુઓને પણ મંદિર સુધી પહોંચવામાં વધુ સુગમતા રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત સૌને જણાવ્યું કે, સરકારશ્રી લોકસુખાકારીને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસ કાર્યો અમલમાં મૂકી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોનો વિકાસ થવાથી ખેડૂતોને પોતાના પાક અને કૃષિ ઉત્પાદનો બજારો સુધી પહોંચાડવામાં સરળતા બની રહેશે. સાથે સાથે વિધાર્થીઓને શિક્ષણ સંસ્થાનો સુધી પહોંચવામાં સરળતા થશે અને ગ્રામજનોને આરોગ્ય, વ્યવસાય તથા રોજિંદી અવરજવરમાં પણ સુવિધા મળશે. આ પ્રોજેક્ટો પૂર્ણ થતાં ગામડાંઓને વધુ સુગમ માર્ગવ્યવસ્થા મળશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અનુસાર ‘ગ્રામ્ય ભારતના વિકાસ વગર રાષ્ટ્રનો વિકાસ અધૂરો છે.’ આ સંદેશાને કેન્દ્રસ્થાને રાખીને ગુજરાત સરકારશ્રી દ્વારા ગામડાંમાં મજબૂત માર્ગ વ્યવસ્થાપન વિકસાવવાની દિશામાં અભૂતપૂર્વ કામગીરી હાથ ધરાઈ છે. નર્મદા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકસુખાકારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગસુવિધાઓને વધુ સલામત અને નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

