અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં સાંજે એક દુર્ઘટના સામે આવી છે. નદીમાં નહાવા પડેલા ચાર યુવકો પૈકી એક કિશોર તણાઈ ગયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ લાપતા થયેલા કિશોરની ઓળખ લક્ષમણ નગરના સોનલ પાર્કમાં રહેતા 15 વર્ષીય સુમિત રાજપૂત તરીકે થઈ છે.નદીમાં નહાવા દરમિયાન અચાનક સુમિત ડૂબવા લાગ્યો હતો. તેની સાથે નહાવા ગયેલા અન્ય ત્રણ યુવાનો બહાર નીકળી ગયા હતા.
યુવાનોએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો દોડી આવ્યા હતા.બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુમિતની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ આ બનાવની વધુ તપાસ કરી રહી છે.

