ડેડિયાપાડા: ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને તેઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે આદિવાસી ચૈતર વસાવાએ આ જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ચૈતર વસાવાએ આ જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણીમાં 22મી જુલાઈએ હાથ ધરાય એવી શક્યતા છે. આ પહેલાં નર્મદાની કોર્ટમાં ચૈતર વસાવા વતી રજૂઆત કરવામાં આવી હતી કે પોતે શાસક પક્ષ ભાજપની વિરોધી પાર્ટીના ધારાસભ્ય હોવાથી તેમની કારકિર્દી ખતમ કરવા માટે કાવતરા કરવામાં આવે છે. તેમને પણ ફરિયાદી સામે ક્રોસ ફરિયાદ આપવા કોશિશ કરી હતી, પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી. હત્યાના પ્રયાસ જેવો કોઈ ગુનો તેમને કર્યો નથી. અયોગ્ય વ્યક્તિઓને એટીવીટી કમિટીમાં નિમણૂક આપવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. તેમની સામે જે 18 ગુના નોંધાયેલા હોવાની વાત કરવામાં આવે છે, તે મોટા ભાગના રાજકીય અદાવતથી પ્રેરિત છે, તેમજ કેસ પૂરા થઈ ચૂક્યા છે. ફરિયાદી ભાજપના સભ્ય છે.
સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી ધારાસભ્ય હોવા છતાં કાયદાને માન આપતા નથી. તેમની સામે આ પૂર્વે 18 ગુના નોંધાયેલા છે. જેમાં લૂંટ, ધાડ, છેડતી, સરકારી ફરજમાં રૂકાવટ વગેરે જેવા ગુનાનો સમાવેશ થાય છે. જ્યારે પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે, ત્યારે પોતે વિરોધી પાર્ટીના ધારાસભ્ય હોવાનું જણાવીને છટકબારી શોધી લે છે. લોકશાહીમાં બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે. ચૂંટાયેલા ધારાસભ્યએ આવું વર્તન કરવું જોઈએ નહીં.

