ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં માન નદી પર નવા બ્રિજના નિર્માણને મંજૂરી મળી છે. સિંદૂમ્બર ગામના ભટારી ફળિયા પાસે આવેલા હાલના લો-લાઇન બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
Decision news ને મળેલી માહિતી મુજબ ધરમપુરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે માન નદી બે કાંઠે વહી રહી છે. વલસાડ જિલ્લામાં હાલમાં 32 મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો જોખમ ખેડીને બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષના બજેટમાં સિંદૂમ્બર સહિત અનેક લો-લાઇન રસ્તાઓ પર કરોડો રૂપિયાના બ્રિજ અને રોડ વાઇડનિંગની કામગીરીને મંજૂરી મળી છે. ચોમાસા દરમિયાન ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી એક વર્ષમાં તમામ બ્રિજ અને બિસ્માર રોડની કામગીરી પૂર્ણ થશે. સ્થાનિક લોકોની વારંવારની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

