સેલવાસ: ગતરોજ સેલવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અથાલ સ્થિત ડયુન ટેપ કંપનીમાં નોકરી કરતા કર્મચારીની હત્યા કરવામાં આવી છે. મૃતક કૃણાલ ઉર્ફે જાનકાઇ નાથ પ્રસાદ કંપનીમાં થતી ભંગારની ચોરી અંગે વારંવાર કંપનીમાં ફરજ બજાવતા ઉપરી અધિકારીઓને ફરિયાદ કરતો હતો.
Decision news ને મળતી માહિતી આમલી વિસ્તારમાં 20 થી 25 લોકો રિક્ષા અને કારમાં આવ્યા હતા. આ લોકોએ કૃણાલનું અપહરણ કર્યું હતું. કૃણાલની પત્નીએ તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાંજ સુધીમાં કૃણાલની લાશ ગલોંડા વિસ્તારમાંથી મળી આવી હતી.
કૃણાલની પત્નીએ પોલીસ પર ગંભીર આરોપ મૂક્યો છે કે પોલીસે સમયસર કાર્યવાહી ન કરતા કૃણાલનું મૃત્યુ થયું છે. હાલમાં પોલીસે હત્યાનો કેસ નોંધી લીધો છે. આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભંગારના વેપારીઓ દ્વારા આ હત્યા કરવામાં આવી છે. કૃણાલ લાંબા સમયથી કંપનીમાં થતી ભંગારની ચોરી વિશે ફરિયાદો કરતો હતો. આ મુદ્દે અગાઉ પણ ઘણી વખત વિવાદ થયો હતો.

