સેલવાસ: પ્રશાસનની ટીમે અચાનક દાદરા નગર હવેલીના સીલી ગામમાં દમણગંગા વિભાગની નહેર પર આવેલા બે પુલ પ્રશાસને બંધ કરી દેતાં આ માર્ગ પર નવોદય વિદ્યાલય, અદ્વૈતા ગુરુકુલ, શાળાના વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક એકમોના કામદારો માટે હાલમાં માત્ર નહેરના કિનારે આવેલો 12 ફૂટનો રસ્તો જ વૈકલ્પિક માર્ગ તરીકે ઉપલબ્ધ છે.
આ સાંકડા માર્ગ પર એક સમયે માત્ર એક જ વાહન પસાર થઈ શકે છે. સામેથી વાહન આવે તો કોઈ એક વાહનને 500 મીટર પાછું જવું પડે છે. 25 ફૂટ ઊંડી નહેરમાં પડવાનું જોખમ પણ છે. રાત્રે સ્ટ્રીટલાઈટ ન હોવાથી મુશ્કેલી વધે છે. દાદરા નગર હવેલી માર્ગ અને મકાન વિભાગે પુલનો સર્વે કર્યો તો પુલ જર્જરિત છે અને રિપેર થઈ શકે તેમ નથી. આથી કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પુલને કાયમી ધોરણે બંધ કર્યો છે.
સ્થાનિકોએ શાળાના સમયે અને નાના વાહનો માટે પુલ ખુલ્લો મૂકવાની માંગ કરી છે. છેલ્લા દસ વર્ષથી આ પુલનું માત્ર લેવલ ચેક થતું રહ્યું છે. ગત વર્ષે પણ રસ્તો બંધ કરાયો હતો, પરંતુ ત્યારે સ્કૂલ બસો અને નાના વાહનોને પસાર થવાની છૂટ હતી.

