ભરૂચ:અધિકારીઓને ઘણી આજીજી કરી પણ પ્લેનમાં બેસવા ન દીધી ભરૂચ પરત આવતી વેળાં રસ્તામાં સ્વજનોના ફોનથી દુર્ઘટનાની જાણ થઇ.
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 142થી વધુ લોકોએ પોતાની જીંદગી ગુમાવી છે. ત્યારે આ ઘટનમાં ભરૂચન પણ ત્રણ હતભાગીઓના પ્રાણ ગયાં છે. ત્યારે ભરૂચની જ એક મહિલા 10 મિનિટ મોડી પડતાં તેને પ્લેનમાં બેસવા નહીં દેતાં તેનો આબાદ બચાવ થયો હતો.
અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના પ્લેન કેશની ઘટનામાં ભરૂચના ત્રણ લોકોના મોત થયાં હોવાના અહેવાલ મળ્યાં છે. જેમાં વાગરાના કોલવણા ગામના અને યુકેમાં સ્થાયી થયેલાં અલ્તાફ પટેલ ઇદ તહેવાર નિમિત્તે ભરૂચ આવ્યાં હતાં. તેમના સાસુ સસરા પણ સાંસરોદ તેમના વતને આવ્યાં હતાં. તેઓ ત્રણેય પરત જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠાં હતાં. તે જ રીતે જંબુસરના સારોદ ગામે રહેતાં અને ભાજપના અગ્રણી સલીમ પટેલ ઉર્ફે ગફુનો પુત્ર સાહિલ પણ તેને વર્ક પરમિટ મળતાં આ પ્લેનમાં યુકે જવા રવાના થયો હતો. જ્યારે ભરૂચની અલમીના સોસાયટી ખાતે રહેતા સાજેદાબેન મિસ્ટર (કાવીવાલા) પણ તેમની પુત્રીને મળવા માાટે યુકે જવા માટે આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં.
પ્લેનક્રેશમાં ભરૂચના ત્રણેયના મોત થયાંનું જાણવા મળી રહ્યું છે.
આવામાં ભરૂચની જ એક મહિલાને તે મોડી પડતાં પ્લેનમાં નહીં બેસવા દેતાં તેનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ શહેરના ઝાડેશ્વર ખાતે આવેલી મેઘદૂત સોસાયટી ખાતે રહેતાં ભુમી ચૌહાણના પતિ યુકેમાં નોકરી કરે છે. તેઓ તેમના પતિ પાસે જવા માટેની તૈયારી કરી રહ્યાં હતાં. તેમણે પણ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જ બુકીંગ કરાવ્યું હતું. જોકે, તેઓ ભરૂચથી અમદાવાદ એરપોર્ટ પર જવા માટે નિકળતાં રસ્તામાં ટ્રાફિક તેમજ અન્ય કારણોસર તેઓ 10 મિનિટ મોડા પડ્યાં હતાં. તેમણે અધિકારીઓને ઘણી આજીજી કરી હતી પણ તેમણે તેમને પ્લેનમાં બેસવા દીધાં ન હતાં. દરમિયાનમાં તેઓ એરપોર્ટ પરથી નિકળીને થોડે દૂર જ ગયાં હતાં. અને તેમને સમાચાર અને તેમના સગાસબંધીઓએ ફોન કરી જાણ કરી હતી કે, તેઓ જે પ્લેનમાં બેસવાના હતાં. તે દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. અને ઘણા લોકોના મોત થયાં છે. સ્વજનો દ્વારા મળેલી જાણકારીથી એક તરફ તેઓ આટલાં બધા લોકોના અકાળમૃત્યુથી આઘાતમાં સરી ગયાં હતાં. બીજી તરફ કુદરતી રીતે તેઓ 10 મિનિટ મોડા પડ્યાં ને તેમનો આબાદ બચાવ થયો તે વાતને લઇને ભગવાનનો આભાર માન્યો હતો.

