ભરુચ: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ પર્યાવરણ સપ્તાહ 8 જૂન 2025 નિમિત્તે ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં SAS ના ગુજરાત પ્રમુખ ડો. પ્રદીપ ગરાસિયા અને આદિવાસી એકતા પરિષદના પાયોનિયર અશોક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે દુનિયાના દેશોના શાણા આગેવાનો, વૈજ્ઞાનિકો અને સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્રસંઘ(UNO) ની રચના કરી સાથે જ પર્યાવરણના રક્ષક એવા જળ, જંગલ, જમીન અને ખનીજના અમર્યાદિત દોહનથી પારાવાર નુકસાન અને સમગ્ર સૃષ્ટિમાં આવનારા સંકટો અંગે વૈશ્વિક જાગૃતિ થાય તે માટે સને 1972 માં 5 જુને વિશ્વ પર્યાવરણ દિવસની ઘોષણા કરી અને એની પ્રથમ ઉજવણી સને 1973 માં ‘એક માત્ર પૃથ્વી’ ના વિષય પર કરવામાં આવી. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ દિવસની વૈશ્વિક ઉજવણી “પ્લાસ્ટિક વપરાશ નિયંત્રણ” વિષય પર કરી રહેલ છે.
હાલ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના લીધે સમગ્ર જીવસૃષ્ટિ કુદરતી આપત્તિઓથી ઘેરાઈ રહી છે.
- ભારત સહિત અનેક દેશોમાંથી વસંતઋતુ અદ્રશ્ય થઈ રહી છે ફેબ્રુઆરીમાં જ ઉનાળા શરૂ થઈ જાય છે ઠંડીના દિવસો ઓછા થઈ રહ્યા છે. (વિશ્વના હવામાન શાસ્ત્રીઓ)
- છેલ્લા 80 વર્ષમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વધુમાં વધુ ગરમી પડી છે. ધરતીનું તાપમાન હજુ એક ડિગ્રી વધે તો કરોડો ટન અનાજનું ઉત્પાદન ઓછું થશે.
- પ્રદૂષણ હાઇબ્રીડ બિયારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી સ્ત્રી અને પુરુષની ફળદ્રુપતા ઘટી રહી છે અનેક દેશોમાં જન્મદર ઘટી રહ્યો છે અને આ પ્રમાણે જન્મદર ઘટતો રહેશે તો પૃથ્વી પરથી 200 વર્ષમાં માણસોનું અસ્તિત્વ મટી જશે.
- દુબઈ અબુધાબીમાં સૌવ. પ્રથમવાર ભારે વરસાદથી રેલ હોનારત થઈ.
- ગમે ત્યારે ધરતીકંપ સુનામી.
- ઉત્તર ધ્રુવના તાપમાનમાં 30 ડિગ્રી જેટલો વધારો. ટૂંક સમયમાં બરફ પીગળતા દુનિયાના મહાસાગરો પાણીથી ઉભરાઈ જશે આખી દુનિયા પર પાણી ફરી વળશે.
- પ્રદૂષિત હવાના કારણે વિશ્વમાં દર વર્ષે 70 લાખ લોકો જીવ ગુમાવી રહ્યા છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પહેલાંના કરતાં વાતાવરણ 30 ટકા વધારે કાર્બન ડાયોક્સાઇડ હાજર છે. વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો શોષી લેતા હોય છે. પરંતુ જે રીતે વિવિધ પ્રોજેક્ટ મા લાખોની સંખ્યામાં જંગલના વૃક્ષોનો નાશ આપણે કરી રહ્યા છીએ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષાવવાની પ્રક્રિયા ધીમી થઈ ગઈ છે. જે કાર્બન વધવાનું મુખ્ય કારણ છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્ર સંઘે સમગ્ર વિશ્વને ચેતવણી આપી છે કે મનુષ્ય જાત ઉપરોક્ત બાબતો પર ગંભીર પગલાઓ નહીં લે તો સમગ્ર પૃથ્વી અતિશય ગરમી ઠંડીના લીધે આગામી સાઠ વર્ષમાં અગન ગોળો બની જશે. અને સમગ્ર જીવસૃષ્ટિ જોખમમાં મુકાશે. એ માટે જૈવિક વિવિધતા, સાંસ્કૃતિક વિવિધતા ને જાળવી રાખવાની જરૂર છે.આવા સંજોગોમાં આગામી નવી પેઢી અને જીવ સૃષ્ટિ માટે પૃથ્વીને જીવવા લાયક બનાવી રાખવાની આપણા સૌની જવાબદારી છે. સમગ્ર આદિવાસી સમાજ જૈવિક અને સાંસ્કૃતિક વિવિધતા જાળવી રાખવા માટે પ્રકૃતિનું સંવર્ધન સંરક્ષણ,પુનઃ નિર્માણના કામો કરી રહ્યો છે. જેને સમગ્ર સમાજે અપનાવી લેવાની જરૂર છે.
ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટે નીચેના પગલાંઓ લેવાનું ઠરાવવામાં આવ્યું.
- દુનિયાની દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું પ્રદૂષણ થાય તે પ્રમાણે જીવન શૈલી ગોઠવવી પડશે.
- રસ્તાની બંને બાજુ, બોડા ડુંગરો, ખેતરોના સેઢા અને પાળ પર વધુ માત્રામાં વૃક્ષારોપણ કરીને એને મોટા કરવા પડશે.
- પરંપરાગત પ્રાકૃતિક ખેતીને મોટા પાયે અપનાવવી પડશે.
- હાઇબ્રીડ બિયારણો, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો વપરાશ ટાળવો જોઈએ
- પાણીના કુદરતી સ્ત્રોતને જાળવવા જોઈએ. વરસાદી પાણીનો સંચય કરવો જોઈએ. કુવા બોરને રિચાર્જ કરવા જોઈએ.
- વિકાસથી પરિભાષા બદલાવી જોઈએ. વિકાસ માટેના વિવિધ પ્રોજેક્ટમાં પ્રકૃતિને નુકસાન ન થાય, જળ જંગલ જમીનનું પુનઃ નિર્માણ થાય અને સ્થાનિક રહેવાસીઓ માટે કોઈ જોખમ ઉભું ન થાય આ પ્રકારનો ટકાઉ વિકાસ ( Sustainable Develoment ) નો સિદ્ધાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘર્ષ સ્વીકાર્યો છે.જે દરેક દેશે અપનાવવાની જરૂર છે.
- દેશમાં ખાનગી કંપનીઓને વિવિધ યોજનાઓ માટે પાણીના ભાવ ખૂબ જ મોટા પાયે જળ,જમીન, જંગલ, ખાણ ખનીજ જેવા કુદરતી સંશાધનો આપી દેવામાં આવે છે. જે કોઈપણ સંજોગોમાં અટકવું જોઈએ.
- પર્યાવરણની જાળવણી કરનાર મોટાભાગના આદિવાસીઓ વિવિધ પ્રોજેક્ટમાં કોઈપણ સમાજ વિસ્થાપિત થનાર હોય તમામને વિસ્થાપિતો માટે સંવેદના જાગે અને વિસ્થાપિત થયેલ પરિવારોને પુનઃસ્થાપન થાય તેવા પ્રયાસો કરવા.
- દેશભરમાં એક દિવસ માટે વાહનો અને કારખાનાઓ ન ચલાવીને પર્યાવરણનું મહત્વ સમજવું.
- પ્લાસ્ટિકનો નહીંવત ઉપયોગ કરવો.
- શિક્ષણ,આરોગ્ય,જળ અને જંગલનું કોઈ પણ પ્રકારે ખાનગીકરણ અટકાવવું.
પર્યાવરણના જતન માટે સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય અને આદિવાસી એકતા પરિષદ, ભારત દેશ દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગમાં પર્યાવરણ જતન સમિતિ, ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.જેના અંતર્ગત ગામે ગામ બિરસા મુંડા ગ્રામ વનો બોડા ડુંગરને લીલાછમ બનાવવામાં આવશે. ઉપરાંત જળ,જંગલ,જમીન, ખાણ ખનીજના રક્ષણ માટે અને વિવિધ પ્રોજેક્ટોમાં વિસ્થાપિત થયેલ અને વિસ્થાપિત થનાર આદિવાસીઓને ન્યાય મળે એ માટે લીગલ સેલ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.
ગુજરાત સરકાર તા.12-1- 2024 ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઓછું કરવા અને પર્યાવરણ બચાવવા માટે ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ક્લાયમેટ ચેન્જ, ટેકનોલોજી ક્લાઈમેટ ચેન્જ ઇનોવેશન અને મેનેજમેન્ટના કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં વન પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ગ્રીન ટેકનોલોજી અને સસ્ટેનેબલ પ્રેક્ટિસ આધારિત ગ્રીન ઇનોવેશન હબની સ્થાપના કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય અને આદિવાસી એકતા પરિષદ,ભારત દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં મુખ્ય વક્તાઓ ડૉ. શરદસિંહ કુમરે (પર્યાવરણ વિદ , ભોપાલ, મધ્યપ્રદેશ),ડો. રાજન ભગોરા (કન્સલ્ટિંગ ફિઝિશિયન અને કાનૂની સલાહકાર,ગુજરાત) શ્રી અશોક શ્રીમાળી (સચિવ, માઇન્સ,મિનરલ એન્ડ પીપલ, ભારત), વિના મૂલ્યે ૭૦૦ પ્રકારના દુર્લભ બીજ વિતરણ કરનાર શ્રી નિરલ પટેલ, શ્રી અશોક ચૌધરી (મહા સચિવ, આદિવાસી એકતા પરિષદ, ભારત) શ્રી પી.સી.ઠાકુર ( IPS), શ્રી આર.જે.પટેલ નિવૃત કલેકટરે માર્ગદર્શન આપ્યું.
આ સેમિનારમાં ડો. ચેતન પટેલ (રેડિયોલોજિસ્ટ),ડો. શાંતિરકર વસાવા (ગાયનેકોલોજીસ્ટ), ડો. એ.જી. પટેલ(ડાંગ), ડો. કર્ણિક ડામોર ( ઓર્થોપેડિક સર્જન), ડો.દેક્ષટર પટેલ, શ્રી અરુણ ચૌધરી (વડોદરા), શ્રી ચંદ્રકાંત વસાવા (પ્રમુખ,વસાવા સમાજ), શ્રી મહેશ પટેલ, (ભરૂચ,ધોડિયા સમાજ), શ્રી સી. કે.તડવી (તડવી સમાજ), શ્રી છનીયાભાઈ (રાઠવા સમાજ) વગેરે મહેમાનો સહિત મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યમાંથી પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

