ભરૂચ: ભરૂચ NH 48 નર્મદા નદી પર ફોરલેન કેબલ બ્રિજ ઉપર બુધવારે માર્ગ મરામતની કામગીરીને લઈ 500 થી વધુ વાહનોનો જમાવડો જામ્યો ભરૂચ હાઇવે પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વર્ષ 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1344 મીટર લાંબા ફોરલેન કેબલ સ્ટેઇડ બ્રિજને ખુલ્લો મુકાયો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર સુરતથી ભરૂચ તરફ આવતી લેનમાં વીતેલા 7 વર્ષમાં ક્યારેય કેબલ બ્રિજ ઉપર ચક્કજામ સર્જાયો ન હતો. જોકે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુલદ ટોલ પ્લાઝાથી ન્યાય મંદિર સુધી હાઇવેના સમારકામની કામગીરી હાથ ધરાતા 16 કિલોમીટર લાંબો ચક્કાજામ જોવા મળ્યો હતો. નર્મદા ટોલ પ્લાઝા થી લઈ ન્યાયમંદિર સુધી વાહનોની લાંબી કતારો વચ્ચે ફોરલેન કેબલબ્રિજ ઉપર સાગમટે 500 થી વધુ વાહનોનો ખડકલો થઈ ગયો હતો.

કેબલબ્રિજ પર વાહનોની કતારો વચ્ચે વાહન ચાલકોએ કેટલાય સમય સુધી આકરી ગરમીમાં 16 કિલોમીટર લાંબા ટ્રાફિકજામમાં ફસાવવાનો વારો આવ્યો હતો. સાત વર્ષમાં પહેલી વખત ભરૂચનો કેબલ બ્રિજ વાહનોથી ભરચક જોવા મળ્યો હતો. હાઇવે ઓથોરિટીના સમારકામને પગલે વાહનોની ગતિ પ્રતિ કલાકે 60 થી 80 કિમીથી ઘટીને માત્ર 5 થી 10 કિમિની જોવા મળી હતી.