DECISION વિશેષ: આદિવાસીઓ હંમેશા પ્રકૃતિને પૂજવામાં માને છે, અખાત્રીજ આદિવાસીઓ માટે વર્ષની શરૂઆતનો પ્રથમ તહેવાર છે. અખાત્રીજે આદિવાસીઓ પોતાના ખત્રી પૂર્વજોને યાદ કરી પોતાના પૂર્વજોના સ્થાનકો પર જરૂરી પૂજન વિધિ કરી, ભાવતી વાનગીઓ બનાવીને ખાય છે. વરસાદ આવવાની તૈયારી છે તે બાબતે એક બીજા પર પાણીનો છંટકાવ કરી એક બીજાને પાણીથી ભીંજવી લોકો સાથે હર્ષોલ્લાસ કરે છે.
આદિવાસીઓ અખાત્રીજે વિવિધ પ્રકારની વિધિઓ ભારે આસ્થાભેર કરતા હોય છે. પ્રકૃતિએ રુતુચક્ર પ્રમાણે અખાત્રીજથી ઘણી બધી રીતે બદલાવ લાવે છે, ધરતી પણ મે મહિનામાં જૂની ખાલ ઉતારીને નવી કૂંપળો થકી પોતાનું નવું સ્વરૂપ ધારણ કરી નવોઢાની જેમ નૈસર્ગિક સૌંદર્ય રેલાવવા માટે સજ્જ થઈ જાય છે, ઝાડ પરના પાંદડાથી માંડીને ઝાડનાં મૂળિયામાં પણ નવી કૂંપળો ફૂટી નીકળે છે અને વગર વર્ષા-પાણીએ, સૂર્ય પણ આકાશમાંથી ધગધગતા અંગારા પૃથ્વી પર ફેંકી રહ્યો હોય એવા તાપમાન છતાં પ્રકૃતિના બેનમૂન વ્યવહાર થકી ઝાડ-મૂળની નવી કૂંપળો ફૂટી નીકળવું એ પ્રકૃતિએ જ પરમેશ્વર, પ્રકૃતિ જ જીવન સુવાક્યને સાર્થક કરે છે.
અખાત્રીજે નવા વર્ષની શરૂઆતના લીધે ઘણા પ્રાણીઓ પોતાનો પ્રાકૃતિક વ્યવહાર બદલે છે. તો કેટલાક પશુ-પક્ષીઓ જીવ જંતુઓ પોતાની રુવાંટી બદલે છે તો કેટલાક પોતાના શરીર પરનો રંગ બદલે છે. તો કેટલાક પક્ષીઓ પોતાના જૂના પીંછા ત્યજીને નવા પીંછા આવતા હોય છે, કેટલાંક પશુ-પક્ષીઓ પોતાના અવાજ પણ બદલી દેતા હોય છે, પક્ષીઓ પોતાના અવાજથી નવા વર્ષના વધામણા કરતા હોય છે. આદિવાસીઓ અખાત્રીજે જ મોટા ભાગે આખા વર્ષના બારેય મહિનાઓ કેવા વિતશે, વરસાદ કેવો થશે, ખેતીમા કેવી બરકત રહેશે તેનો અંદાજો અન્ય ઝાડ પર થતા ફળ ફુલ પરથી લગાવી દેતાં હોય છે. આ બધી બાબતો પર અંદાજો લગાવવા માટે પણ અલગ અલગ માન્યતાઓ રહેલી છે.
આદિવાસી લોકો આકાશમા ચંદ્ર-તારા અને સૂર્યની સ્થિતિ થકી સારા અને ખરાબ સમયનો અંદાજ લગાવી દેતાં હોય છે. વાદળોના આકાર અને પ્રકાર જોઇને ક્યા સમયે કેટલા પ્રમાણમાં વરસાદ પડશે વગેરે કહી દેતા હતા. આજે પણ આ માન્યતા વલસાડના ધરમપુર તાલુકામાં આવેલ અભિનાથ દેવ એટલે વરસાદી દેવ લોકો માને છે. પ્રકૃતિના તમામ નિયમોને ભણી ચૂકેલો આદિવાસી પ્રકૃતિની ભાષા સમજી શકતો હતો.

