નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલા વિશ્વના સૌથી ઊંચા પ્રતિમા સ્થળ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક બનાવેલી દુકાનો છેલ્લા ત્રણ વર્ષથી ધૂળ ખાતી પડી છે. આ દુકાનો સ્થાનિક લોકોને આજીવિકા પૂરી પાડવા માટે બનાવવામાં આવી હોવા છતાં, તેની ફાળવણી ન થતાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ આ વિસ્તાર પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. સરકારે સ્થાનિક આદિવાસીઓને આર્થિક લાભ આપવા માટે પ્રતિમા નજીક દુકાનો બનાવી હતી. આ દુકાનોમાં સ્થાનિકો ખાણીપીણી, હસ્તકલા અને અન્ય વસ્તુઓનું વેચાણ કરી શકે તેવું આયોજન હતું. જોકે, ત્રણ વર્ષ પહેલા આ દુકાનો બની ગયા બાદ પણ તેની ફાળવણી નથી થઈ, જેના કારણે દુકાનો બંધ પડી છે અને તેની હાલત બગડી રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સ્થાનિકોનું કહેવું છે કે વહીવટી તંત્રએ વચન આપ્યું હતું કે આ દુકાનો દ્વારા તેમને રોજગારી મળશે, પરંતુ વહીવટી નિષ્ક્રિયતા અને નીતિના અભાવે આ યોજના નિષ્ફળ ગઈ છે. આનાથી આદિવાસી સમુદાયમાં નિરાશા અને આક્રોશ વધ્યો છે.

વધુમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓની જમીન લેવામાં આવી, પરંતુ તેમને ન્યાય નથી મળ્યો. દુકાનો બનીને તૈયાર છે, પણ ફાળવણી નથી થતી. આ સરકારની આદિવાસી વિરોધી નીતિ દર્શાવે છે. દુકાનોની ફાળવણી પારદર્શક રીતે થાય અને પ્રાથમિકતા સ્થાનિક લોકોને જ આપવામાં આવે એવી માગ છે.