અંકલેશ્વર: અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળા નંબર એકમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. શાળામાં મધ્યાહન ભોજનની તૈયારી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતાં આગ લાગી હતી. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ, બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર લીક થતાં આગ ફાટી નીકળી હતી. શાળામાં અભ્યાસ કરતા 190 વિદ્યાર્થીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વર નગર સેવાસદનની ફાયર બ્રિગેડની ટીમ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

જો કે તે પહેલાં જ આગ કાબૂમાં આવી ગઇ હતી. ઉનાળાની તીવ્ર ગરમીને કારણે આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આ ઘટનામાં પણ ગરમી આગનું કારણ હોવાનું પ્રાથમિક અનુમાન છે. સમયસર લેવાયેલા પગલાંને કારણે કોઈ જાનહાની થઈ નથી.