ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અંધારકાછલા ગામ નજીક એક ટ્રક પલટી મારતા ટ્રક ચાલક ટ્રક નીચે દબાઇ ગયો હતો. આ ઘટનામાં ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયેલ ટ્રક ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર મુળ જંબુસર તાલુકાના દેવકુઇ ગામનો પ્રભાત ઠાકોર (ઉવ.45 )નાઓ પત્ની અને બાળકો સાથે છેલ્લા 10 વર્ષોથી તેની સાસરી અંધારકાછલા રહેતો હતો. તે ઝઘડિયા સ્થિત એક ટ્રાન્સપોર્ટમાં હાઇવા ટ્રકના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. પ્રભાતભાઇ ગતરોજ તા.૬ ના રોજ સવારના છ વાગ્યે ઝઘડિયા ખાતે નોકરીએ ગયો હતો.ત્યારબાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેણે પત્નીને ફોન કરીને જણાવેલકે તે ઝઘડિયાથી ટ્રક લઇને ઘરે આવે છે.
ત્યારબાદ તેની ટ્રક ઝઘડિયાથી અંધારકાછલા જવાના માર્ગ નજીક પલટી મારી જતા તે ટ્રક નીચે દબાઇ ગયો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ગંભીર ઇજાના પગલે તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

