દાહોદ: હાલ ચાલી રહેલ ઓન લાઈન જિલ્લા ફેર બદલીમાં મોટા પ્રમાણમાં દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાંથી શિક્ષકોની પોતાના વતનનાં જિલ્લાઓમાં બદલી થતાં કુલ 2700 શિક્ષકોની ઘટ ઉભી થાય તેવી શક્યતા વર્તાય છે. ત્યારે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની માંગ માટે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ આવ્યું મેદાને આવ્યું છે.
દાહોદ જિલ્લો સાક્ષરતા, શૈક્ષણિક સ્થાયીકરણ, કુપોષણ અને સ્થાનિક રોજગારની દ્રષ્ટિએ રાજ્યમાં છેલ્લા ક્રમાંકે આવે છે, અહીં કુલ મહેકમના 50% થી ઉપરાંત શિક્ષકો અન્ય જિલ્લામાંથી નોકરી કરે છે, જેઓ જિલ્લા ફેરનો સમય થતાં જિલ્લા ફેર બદલી કરાવી પોતાના જિલ્લામા જતા રહે છે, જેના કારણે પછાત આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની કાયમી ઘટ રહે છે.
ત્યારે આ કાયમી ઘટનુ નિવારણ થાય તે માટે કચ્છ જિલ્લાની જેમ સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામા આવે તો દાહોદ જિલ્લાના આદિવાસી બાળકોનું શિક્ષણ બગડે નહિ, માટે આ બાબતે ચિંતા કરી દાહોદ જિલ્લામાં પણ કચ્છની જેમ સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરવા માટે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારશ્રી માં રજૂઆત કરવામાં આવી છે.

