અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલા આમલાખડી ઓવરબ્રિજ નજીક ટ્રક અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ અકસ્માતની ગંભીરતા વધુ એટલા માટે વધી કે ટેન્કરમાંથી એસિડ લીક થવાનું શરૂ થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને એસિડ લીકેજને કાબૂમાં લેવા માટેની કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતને પગલે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ચિંતાનું માહોલ છવાય ગયું.