ધરમપુર: દક્ષિણ ગુજરાતમાં આદિવાસી લોકો હાલમાં બધું કામ પડતું મૂકી રેશનકાર્ડ ઇ-કેવાયસી, આધારકાર્ડના સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે ધરમપુરમાં લોકસેવા અર્થે અમુક સંસ્થાઓ તેમને ભોજનની વ્યવસ્થા ઉભી કરી મદદરૂપ થઇ રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના અંતરીયાળ આદિવાસી વિસ્તારમાંથી મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ ઇ કેવાયસી, આધારકાર્ડના કામ અર્થે વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, જેઓ દૂરથી આવે છે અને આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હોવાથી તેઓ જ્યાં સુધી કામ ન થયા ત્યાં સુધી ભૂખ્યા પણ લાઈનમાં ઊભા રહે છે. જેને ધ્યાનમાં રાખીને ગોળવાળ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, સર્વોદય પરિવાર ટ્રસ્ટ પિંડવળ તરફથી નિ:શુલ્ક (પૌવા બટાકા) નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

આ લોકસેવાના કાર્યમાં ધરમપુરની ગાંધી વિચારધારા સાથે ગ્રામોઉત્થાનના કામો કરતી સંસ્થા લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત પણ સહયોગી સંસ્થા બની લોકોની ભૂખ સંતોષવાની કામગીરી કરી હતી.