નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે. સરકારશ્રી દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે તા. ૧૫મી જુલાઈ, ૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકની પરિસ્થિતિએ આ ડેમની સપાટી ૧૦૫.૭૨ મીટર પહોંચી હતી. તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૪ દરમિયાન ડેમની સપાટીને ૧૦૭.૫૫ મીટરનો રૂલ લેવલ જાળવવા માટે આજે સોમવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે આ ડેમના ૨ (બે) દરવાજાને ૨.૮૦ મીટર (૨૮૦ સે.મી.) ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૧૮૪૧૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. અત્રે નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે ૨૨ હજાર ક્યુસેક પાણીની આવત થઈ રહી છે. જેથી ડેમ હાલમાં ૫૯.૯૯ ટકા જળરાશીથી ભરેલો છે.

કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.