રાજકોટ: આજરોજ રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ લઈને ન્યાય મળે એવા ઉદ્દેશ સાથે કોંગ્રેસે 25 જૂન મંગળવારે રાજકોટ બંધનું આહ્વાન એલાન કર્યું હતું. જેમાં કોંગ્રેસને અનેક વેપારી સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું અને રાજકોટ બંધ પાળ્યું હતું.

રાજકોટની આ ઘટના ન ભૂલી શકાય એવી છે જેમાં ટીઆરપી ગેમઝોનની આગમાં 27 જેટલા લોકો બળીને બડથું બની ગયા હતા. ગુજરાત સરકાર SIT ની રચના કરી આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે ત્યારે આ ઘટનામાં કોંગ્રેસે 25 જૂને એટલે કે આજે રાજકોટ બંધનું આહવાન કર્યું હતું. જેમાં રાજકોટના દાણાપીઠ એસોસિએશનના 300 કરતા વધુ વેપારીઓએ આ બંધને ટેકો આપ્યો છે. આ સિવાય સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા પણ બંધને ટેકો આપવામાં આવ્યો છે. તો આ બંધને લઈને ઘણી સ્કૂલો દ્વારા પણ આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટની વિવિધ સ્કૂલોએ રજા અંગે વાલીઓને મેસેજ પણ કર્યો છે.

રાજકોટની એક અગ્રણી સ્કૂલ દ્વારા વાલીઓને કહેવામાં આવ્યું છે કે બંધના એલાન દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ મંગળવારે સવારની શિફ્ટમાં શાળામાં રજા રહેશે. બીજીતરફ રાજકોટમાં કોચિંગ ક્લાસિસ ઓનર્સ એસોસિએશન અને તેમના 400 જેટલા વિધાર્થીઓ દ્વારા રેસકોર્ષ ખાતે અગ્નિકાંડના મૃતકોને પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મૃતક આશા કાથડની બહેન સંતોષ કાથડે મંગળવારે રાજકોટવાસીઓને બંધમાં જોડાવાની અપીલ કરી છે.