વ્યારા: વ્યારા સ્થિત સયાજી મેદાન પાસે આવેલા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાં નીચે લાખો રૂપિયા વેડફીને કમળ બનાવવામાં આવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને પુર્વ કોર્પોરેશન દ્વારા નગરપાલિકા પ્રમુખને પત્ર લખી સયાજીરાવ ગાયકવાડના નામથી લોકપ્રિય સયાજી સર્કલ નું નામ બદલી “કમલમ” સર્કલ કરવા માટે લેખિતમાં પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જેના વિરોધમાં જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા સમગ્ર ઘટનાની નિંદા કરતા આવી વાહિયાત માંગણી સયાજીરાવ ગાયકવાડનું અપમાન ગણાવ્યું છે તેમજ જો આમ કરવામાં આવે તો આદિવાસીઓ બહુલ વિસ્તાર તાપી જીલ્લાના વ્યારા નગરને આદિવાસી યોદ્ધા બિરસા મુંડાના નામથી બિરસા નગર નામ કરવા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવાજ મજબૂત બનાવવાની ચીમકી સાથે રસપ્રદ કટાક્ષ કરતું સુચન કરવામાં આવ્યું છે.

રોમેલ સુતરિયાએ કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય શંકર ફળિયાના અસંખ્ય પરિવારો બેઘર બન્યા છે ત્યારે રાજકીય પક્ષોને નમ્ર અપીલ કરીએ છીએ કે નામ બદલવાનું રાજકારણ છોડી માનવતાના ધોરણે આ પરિવારોને કાયમી મકાન આપવાની માંગણી કરી જે તમને તમને મત આપે છે તેવા નાગરિકોના હિતમાં ભ્રષ્ટાચાર રોકી પોતના નામોથી રોડ બનાવવા, નાના મોટા કામોમાં ભ્રષ્ટાચાર કરવા, ગેરકાયદેસર ખનન કરવામાંથી સમય કાઢીને પ્રજા માટે તો થોડું કામ કરો.

આમ સયાજીરાવ ગાયકવાડ નું નામ બદલી કમલમ કરવાની માગણી સામે વ્યારા નગરનું જ નામ બિરસા નગર કરવાની માગણી રોમેલ સુતરિયા દ્વારા કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સાથે જ આવનારા દિવસો નગરપાલિકા સયાજી ગાયકવાડનું નામ બદલી કમલમ સર્કલ કરશે તો ચોક્કસ તેના પડઘા સમગ્ર ગુજરાતમાં સંભળાય તો નવાઈ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અહમદાબાદ નું નામ કર્ણાવતી કરવાની માગણી સામે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા દ્વારા સખત વિરોધ નોંધાવી કર્ણાવતી નગરની માંગણી સામે કર્ણાવતી રાજા પહેલા ભીલ રાજા આશાવલ નું રાજ હતું નો ઈતિહાસ ગુજરાત સામે મુકી અહમદાબાદનું નામ બદલવું જ હોય તો ‘કર્ણાવતી નહીં આશાવલ કરો’ ની માંગણી કરાતા કર્ણાવતી નામની માંગણી તો દુર રહી પરંતુ સત્તા પક્ષે આદિવાસીઓ નો આક્રોશ જોતા અહમદાબાદના ઈતિહાસમાં પહેલી વખત આદિવાસી ભીલ રાજા આશાવલની પ્રતિમાં મુકવાની રાજનીતિ કરવી પડી હતી તેમજ કર્ણાવતી ની માંગણી હવામાં ઊડી ગઈ હતી. હવે જોવાનું તે રહે છે કે સયાજી સર્કલનું નામ બદલી વ્યારા નગરને “બિરસા નગર” બનાવશે કે રોમેલ સુતરિયાના સુચન મુજબ નામાંકરણનું રાજકારણ બંધ કરશે.