આહવા: રાજ્યમા ડાંગ જિલ્લાના ખેડુતો સૌથી ઓછો રાસાયણીક ખાતરનો વપરાશ કરે છે. જ્યારે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ માત્ર શાકભાજીના પાકમા, અને તે પણ જ્યા શાકભાજીના રોકડીયા પાક લેવામા આવે છે તેમા જ થાય છે. જેનો કુલ વિસ્તાર 500 હેક્ટરથી વધુ નથી. આ સીવાય કોઇપણ પાકમા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. જેનુ મુખ્ય કારણ અહિનુ પ્રાકૃતિક હવામાન છે. આમ, ડાગ જિલ્લો મહદઅંશે પ્રાકૃતિક જિલ્લો જ છે, અને અહિના ખેડુતો ધીમે – ધીમે મક્કમતાથી સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થઈ રહ્યા છે.

ડાંગ જિલ્લાના ગૌર્યા ગામના ખેડુત શ્રી રણજીતભાઇ ગાવિત જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની તાલિમ લઇને તેઓ જાતે જિવામૃત, બીજામૃત, ઘનજિવામૃત બનાવી આધુનીક ખેતી પદ્ધતી અપનાવી રહ્યા છે. વર્ષો પહેલા તેઓના બાપ દાદાઓ દ્વારા સુકા પાંદડા, છાણીયાને બાળીને આદર બનાવી તેના ઉપર બીજ નાખવામા આવતા. પરંતુ આત્મા પ્રોજેક્ટ દ્નારા તેઓને તાલીમ મળ્યા બાદ, હાલ તેઓ દેશી ગાયનુ ગૌમુત્ર, છાણ, ચુનો, પાણી મિક્ક્ષ કરી 24 કલાક બાદ તેમા બીયારણ મિક્ક્ષ કરીને ખેતરમા વાવણી કરે છે. આ ખેતી પદ્ધતિ અપનાવવાથી બીજનો વિકાસ તેમજ નિદામણ સારી રીતે થાય છે. બીયારણનો ન્યુનત્તમ ઉપયોગ થાય છે. તેમજ ખાતરનો ખર્ચો પણ બચી જાય છે. તેઓએ મગફળી, ચણા, મકાઇ, મગ અને સુર્યમુખીની ખેતી કરી છે. તેઓને પ્રાકૃતિક ખેતી પદ્ધતી ફળી રહી છે.

રાજ્ય સરકારની આદિજાતિ વિકાસ વિભાગની ન્યુ પેટર્ન યોજના અંતર્ગત 2022 દરમ્યાન જિલ્લાના દરેક તાલુકામા 400થી વઘુ ખેડુતો માટે પ્રાકૃતિક ખેતીનુ આયોજન કરવામા આવ્યું હતુ. જેમા ડાંગ જિલ્લાના ખેડુતો આ તાલીમ પદ્ધતી અપનાવી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ગૌર્યા ગામના જ એક અગ્રણી મહિલા ખેડૂત શ્રીમતી સાવિત્રીબેન ગાવિત જણાવે છે કે, આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામા આવેલ તાલીમ પદ્ધતિ અપવાની તેઓ જિવામૃત બનાવી રહ્યા છે, જે તેઓની ખેતી માટે ખુબ જ ફાયદાકારક છે.

જ્યારે ગૌર્યાના જ શ્રી બસ્તરભાઇ ચૌધરી જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતી અપનાવી તેઓના ખેતરમા નિદામણ, અને મજુરોનો ખર્ચ ઓછો થાય છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ મુજબ જ તેઓ ખેતી કરી રહ્યા છે, અને મક્કમતા પુર્વક તેઓ હવે પ્રાકૃતિક ખેતી જ અપનાવવા માંગે છે.

ડાંગ જિલ્લામા ચાલતી પ્રાકૃતિક ખેતી અંગેની યોજનાઓ

1) ગાય નિભાવ ખર્ચ સહાય યોજના ; ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ જિલ્લાના ખેડુતોને છેલ્લા 2 વર્ષમા કુલ 3145 લાભાર્થી ખેડુતોની 3500 હેક્ટર જમીન વિસ્તારની ખેતીને પ્રાકૃતિક ખેતી તરીકે પ્રમાણીત કરવામા આવેલ છે. જેમા ખેડુતોને અત્યાર સુધીમા 477.34 લાખ રૂપિયાની સહાય ચુકવવામા આવેલ છે.

2) સપુર્ણ રસાયણ મુક્ત યોજના ; સપુર્ણ રસાયણ મુક્ત યોજના અંતર્ગત ખરીફ સિઝનમા પ્રાકૃતિક ખેતી કરતા 15319 ખેડુતોને 504.93 લાખ રૂપિયાની સહાય આપવામા આવી છે. તથા શિયાળુ સિઝનમા પણ સહાય ચુકવવામા આવી છે. ડાંગ જિલ્લામા આત્મા પ્રોજ્કટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામા આવતા જિલ્લાના ખેડુતો મક્કમતા પુર્વક પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે. જિલ્લામા પ્રાકૃતિક ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા માટે તાલુકાવાર એફ.પી.ઓ બનાવવામા આવેલ છે. ગત વર્ષોમા પ્રાકૃતિક ખેત પેદાશના બજારમા સારા ભાવો મળવાથી ડાંગની લોકલ જાતની ડાંગર, નાગલી, વરાઇ, ખરસાણીનુ વાવેતર વધુ થયેલ છે.