ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકાના બલ ગામે કાચા ઘરોમાં અચાનક આકસ્મિક આગ લાગતા ત્રણ જેટલા ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખા ઘર સહિત બાજુના ઘરને ચપેટમાં લઈ લીધું હતું. આગને પગલે ઘરોમાં મુકેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગયી હતી. મહા મહેનતથી બનાવેલા ઘરમાં આગ લાગવાથી પરિવાર આક્રંદ કરવા લાગ્યું હતું. ચાર કલાક બાદ ફાયર ફાઈટરની ગાડી રાજપીપળાથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યાં સુધી તમામ ઘર તેમજ ઘરવખરી બળીને ખાખ થઈ ગયું હતું.
આ આગમાં શનિવારના રોજ બપોરના સમયગાળા દરમિયાન, વસાવા ઉબડીયાભાઈ ટીડીયાભાઈ, રીતેશભાઈ ઉબડીયાભાઈ, દિનેશભાઈ રૂપસિંગભાઈ વસાવાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી.
મહત્વનું છે કે, ડેડિયાપાડા તાલુકો આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો અને જંગલ વિસ્તાર છે. જે 305 જેટલા ગામડાંઓ ધરાવે છે જ્યાં છાસવારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ તાલુકા મથકમાં ફાયર ફાઈટરની સુવિધા ન હોવાને કારણે મોટું નુકસાન થાય છે. ડેડીયાપાડા વિધાનસભામાં અનેક વાર ફાયર ફાયટરની સુવિધા ઉપલબ્ધ કરવાની તીવ્ર માગ ઉઠી છે. પરંતુ વહીવટી તંત્ર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહ્યું હોઇ તેવું દેખાઈ રહ્યું છે. આગ લાગવાની ઘટનાની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને થઈ હતી અને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર જઈ પરીવારજનોને મળ્યા હતા, તેમજ તેમને આશ્વાસન આપ્યું હતું. તેમજ વહીવટી તંત્રને સહાય માટેની જરૂરી સૂચનાઓ આપી હતી, અને ફૂલ નહિ તો ફૂલની પાંખડી દ્વારા મદદ કરીશું એવું આશ્વાસન આપ્યું હતું.

