નર્મદા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ દેશભરમાંથી પોતાના સ્ટાર પ્રચારકો બોલાવી પ્રચાર કરાવી રહ્યાં છે. ત્યારે આજરોજ નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. દર્શનાબેન દેશમુખના પ્રચાર કરવા માટે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા (નાંદોદ) ખાતે રોડ શો કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં એક બાદ એક સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે (શુક્રવાર)ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નર્મદાના જિલ્લાનું વડુ મથક રાજપીપળા ખાતે પહોંચ્યા હતા અને રોડ શો કર્યો હતો. રાજપીપળાના સૂર્ય દરવાજા થી આંબેડકર ચોક સુધી અમિત શાહે રોડ શો કર્યો હતો. નર્મદા જિલ્લાની બે બેઠકો નાંદોદ અને ડેડીયાપાડા માટે અમિત શાહ પ્રચાર કરી રહ્યા છે. રાજપીપળામાં રોડ શોના રૂટ પર લોકોનોની ભારે ભીડ જોવા મળી હતી.

અમિત શાહે રેલીમાં જોડાયા લોકોને સંબોધન કર્યું હતું કે, રાજપીપળામાં ભારતીય જનતા પાર્ટીના ઉમદવાર ડો. દર્શનબેન દેશમુખને પ્રચંડ બહુમતી થી વિજય બનાવો એવી વિનતી કરવા આવ્યો છું. સમગ્ર ગુજરાતની અંદર દર્શના બેનનો નંબર એક આવવો જોઈએ, બેલેટ પેપરમાં પણ દર્શના બેનનો નંબર એક છે અને ભાજપનો નંબર પણ એક છે. કમળના નિશાન પર મત આપજો અને નિશ્ચિત માનજો કે તમારો એક મત મહાન ગુજરાત અને મહાન ભારતની રચના માટે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરશે.

વધુમાં અમિત શાહે કહ્યું કે, તમારો એક મત દેશની સુરક્ષા માટે છે, તમારો એક મત ગુજરાતનાં ઘરે ઘરે પાણી પહોંચાડવા માટેનો વોટ છે, તમરો એક મત દરેક આદિવાસીઓના ઘરે ગેસનું સિલિન્ડર, શૌચાલય, વીજળી, પીવાનું પાણી પહોચાડવાનો મત છે. નાંદોદ વિધાનસભામાં ડો. દર્શનાબેન દેશમુખને જંગી બહુમતીથી વિજયી બનાવી વિધાનસભામાં મોકલીએ અને નાંદોદ વિધાનસભાનો વિકાસ કરીએ એવી વિનંતી કરવા આવ્યો છું.