પાવીજેતપુર: આજરોજ પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામ માં ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યારે ફરી એક વખત મફત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.

છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આ પ્રવૃતિઓ સાથે જોડાયેલા પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળના સભ્ય જણાવે છે કે જૂન -જૂલાઇ મહીનાઓમા આમેય લોકોને બીયારણ, ખાતર દવા ઉપરાંત ખેતીમાં વાવણીને લઈ આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે અને એ જ સમયે બાળકોને અભ્યાસ અર્થે જરૂરી સ્ટેશનરી ખરીદી કરવાની જરૂર પડતી હોય છે જે રીતસરનું અઘરું થઇ પડતું હોય છે, જે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એક થી ધોરણ આઠ સુધીના ૧૭૦ થી વધુ વિધાર્થીઓ માટે વાર્ષિક જરૂરિયાત મુજબની શૈક્ષણિક કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ મુદ્દે શિક્ષકોએ જણાવ્યું હતું કે પાણીબાર ગામમાંથી નોકરી કરતા કર્મચારીઓ-અધિકારીઓ તથા ગામના શિક્ષીત અને જાગ્રુત યુવાનોના ગ્રુપ દ્વારા જે વિદ્યાર્થીઓ માટે દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી બાળકો માટે શૈક્ષણિક કીટ તૈયારને આપવા જેવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે તે ખુબ જ સારી બાબત છે, આવી સરાહનીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે વિસ્તાર તથા અન્ય ગામો માટે અને સમાજ માટે પ્રેરણા રુપ અને દિશાસૂચક છે તેમ જણાવ્યું હતું. જ્યારે પાણીબાર પ્રાથમિક શાળાના આચાર્યએ શાળાના વિદ્યાર્થીઓને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા આપવામાં આવેલ શૈક્ષણિક કીટ થી આનંદની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી અને આવનારા વર્ષોમાં પણ આ સેવાકીય પ્રવૃતિઓ અવિરત પણે ચાલુ રહેશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત ચાલુ વર્ષે ૩૦ જૂને પાણીબાર ગામમાંથી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં થી વય નિવૃત થયેલા બચુભાઈ રાઠવા ઉપરાંત અગાઉ ના વર્ષો દરમ્યાન વિવિધ વિભાગોમાં ફરજ બજાવી વય નિવૃત થયેલા ૧૧ જેટલા કર્મચારીઓ/અધિકારીઓનું પણ આ તબક્કે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.