સુરત:  ‘પુષ્પા’ ફિલ્મની જેમ સુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડા વેચાણ માટે જતા ATS અને SOG પોલીસે દરોડા પાડયો હતો જેમાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગ માંથી પોલીસે 548 કિલો ચંદનના લાકડા સાથે 3 આરોપીઓને પણ ઝડપી પાડયા હતા.

અમદાવાદ ATSની ટીમને બાતમી મળી હતી કે સુરતના પુણા કુંભારીયા સ્થિત ટેકરા ફળિયાના એક મકાનના પાર્કિંગમાં ચંદનનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. જેના આધારે ATS, સુરત SOG અને વનવિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરોડા પાડયો હતો ત્યાંથી પોલીસને જથ્થામાં ચંદનના લાકડા મળી આવ્યા હતા. આ બનાવમાં પોલીસે રૂ. 25 લાખની કિંમતના 538 કિલો ચંદનના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ પૂછપરછમાં નામ વિનોદ પટેલ, ધીરુ આહીર અને વિજય ભરવાડ બહાર આવ્યું હતું. વિનોદનું ફાર્મ હાઉસ કામરેજ નજીક આવેલ છે, જ્યાં તેને ચંદનના વૃક્ષો વાવ્યા છે. વિનોદ ભાઈએ આ ચંદનના લાકડા વેચવા માટે કોઈ સરકારી પરવાનગી લીધી નથી, તેમ છતાં આ ચંદનના લાકડાનો બારોબાર વહીવટ કરવાની ફિરાકમાં હતો. ખેડૂતને આ ચંદનનું લાકડું 600 રૂપિયામાં પડતું હતું અને તેની બજાર કિંમત રૂ 1500 હતી. જેથી વધુ રૂપિયા મળવાની લાલચમાં આ ચંદનના લાકડા બહાર વેચવાની ફિરાકમાં હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.