ઉત્તર પ્રદેશમાં સહાયક શિક્ષકોની 37000 જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરવાની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢનારા યુવાઓ પર લખનૌમાં પોલીસે ગતરોજ રાત્રે લાઠીચાર્જ કર્યો હતો.

એ પછી હવે ભાજપના ઉત્તર પ્રદેશના સાંસદ વરુણ ગાંધીએ પોતાની જ સરકાર સામે ફરી સવાલ કર્યો છે. વરુણ ગાંધીએ કહ્યુ છે કે, જેમણે કેન્ડલ માર્ચ કાઢી હતી તે પણ ભારત માતાના સંતાનો છે. તેમની વાત માનવાની તો દુર રહી પણ તેમને સાંભળવા પણ તૈયાર નથી. ઉપર થી તેમના પર આ રીતે જંગલી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. જરા પોતાના દિલ પર હાથ મુકીને વિચારજો કે તમારા બાળકો હોત તો તેમની સાથે પણ આ જ વ્યવહાર કરવામાં આવ્યો હોત? જ્યારે ખાલી જગ્યા પણ છે અને ઉમેદવારો પણ છે તો ભરતી કેમ કરવામાં આવતી નથી.

બીજી તરફ રાહુલ ગાંધીએ પણ કહ્યુ છે કે, જે લોકો નોકરી માંગતા હતા તેમને યુપી સરકારે લાઠીઓ મારી છે એટલે હવે ભાજપવાળા વોટ માંગવા આવે તો યાદ રાખજો.

ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની 37000 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો છેલ્લા પાંચ મહિનાથી દેખાવો કરી રહ્યા છે. ગઈકાલે તેઓ સીએમ આવાસ તરફ કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. જેમાં 6 ઉમેદવારો ઘાયલ પણ થયા છે.