કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વ અને દેશમાં સતર્કતા વર્તવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હીમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના 12 સંદિગ્ધ દર્દીઓ મળ્યા છે. આ બધા દર્દીઓને લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 8603 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 415 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,46,24,360 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,70,530 લોકોનાં મોત થયાં છે.

ભારતમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,40,53,856 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 8190 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 99,974એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.35 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.36 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,52,596 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 63.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 1,26,53,44,975 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 73,63,706 લોકોને રસી આપવામાં આવી હતી.