સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શન તેમજ કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવીના સાથ સહકારથી સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત ચાલતા MSW પ્રોગ્રામ દ્વારા અંબુજા ફાઉન્ડેશનના સેડી, સુરતના સહયોગથી ‘ટેકનિકલ આસિસ્ટન્ટ અને સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ’ વિષયક ત્રણ મહિનાના કરિયર એક્સીલેટર ટ્રેનીંગ પ્રોગ્રામનો સમાપન સમારોહ તથા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા.૨૫/03/૨૦૨૬ના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો.
Decision News ને મળેલી જાણકારી મુજબ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સેડી સુરત અંબુજા ફાઉન્ડેશનના ઇન્ચાર્જ; શ્રી ટી.એન. સંદીપ, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને અને MSW પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર;ડૉ. એમ.એન. ગાયકવાડ, વિભાગના અધ્યાપક અને ટ્રેનીંગ પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર; ડૉ. નવીનકુમાર રોહિત અને વિભાગના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. એમ. એન. ગાયકવાડ દ્વારા સ્વાગત ઉદ્દબોધનમાં કૌશલ્ય આધારિત શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો, જ્યારે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સેડી સુરતના ઇનચાર્જ શ્રી ટી. એન. સંદીપે રોજગાર ક્ષમતા માટે ટેકનિકલ અને સોફ્ટ સ્કિલ્સના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્રણ મહિનાની આ તાલીમમાં કુલ ૩૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન ટેકનિકલ કુશળતા, MS ઓફીસ, એ.આઈ, કમ્યુનિકેશન, ટીમ વર્ક અને વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓને ‘જોબ રેડી’ બનાવી શકાય. કાર્યક્રમ દરમ્યાન તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા MSW પ્રોગ્રામના અધ્યાપક અને ટ્રેનીંગ પ્રોગ્રામના કો-ઓર્ડિનટર ડૉ. નવીનકુમાર રોહિત દ્વારા અંબુજા ફાઉન્ડેશન સાથે સહયોગથી લઈને ટ્રેનીંગના આયોજનમાં પાયાની ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ સેમ.૪ની વિદ્યાથીની કુ. સૃષ્ટિ માંન્ગુકીયાએ કર્યું હતું જયારે આભારવિધિ હેત પ્રજાપતિએ કરી હતી.










