ધરમપુર: ધરમપુર તાલુકાના ઝરીયા ગામના કોંકણા આદિવાસી સમાજના યુવાન દિવ્યેશ જાનુભાઈ ચૌધરીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા પાસ કરીને ક્લાસ-2 અધિકારી તરીકે નિમણૂક મેળવી છે. આ સિદ્ધિ તેમના પરિવાર માટે તો ગર્વની વાત છે જ, સાથે સાથે આદિવાસી સમાજના અનેક યુવાનો માટે પણ પ્રેરણાનો અમૂલ્ય સ્ત્રોત બની છે.
એક સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા દિવ્યેશભાઈએ બાળપણથી જ આર્થિક તંગીનો સામનો કર્યો છે. ઘરની આજીવિકા ગાયોના દૂધ વેચાણ અને ખેતીકામ પર આધારિત હોવાથી તેમણે અભ્યાસ સાથે સાથે ખેતરના કામમાં પણ પોતાનો હાથ ઉમેર્યો હતો. આર્થિક મુશ્કેલીઓ અને સંસાધનોની અછત હોવા છતાં, તેમના મનમાં સફળતા મેળવવાની અતૂટ ઇચ્છાશક્તિ અને અથાગ પરિશ્રમની ભાવના હંમેશા જીવંત રહી.
અથાગ મહેનત, સમયસર અભ્યાસ અને સ્વ-અનુશાસનથી તેમણે GPSCની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી છે. આ સફળતા દર્શાવે છે કે ગામડાના નાના ગામેથી પણ, જો ધ્યેય સ્પષ્ટ હોય અને પરિશ્રમ અડગ હોય તો ઉચ્ચ પદ સુધી પહોંચી શકાય છે. આદિવાસી સમાજના યુવાનો માટે દિવ્યેશભાઈની આ સફર એક જીવંત ઉદાહરણ છે કે પરંપરાગત મૂલ્યો અને સંસ્કૃતિને જાળવી રાખીને પણ આધુનિક સ્પર્ધાત્મક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. તેમની આ સિદ્ધિ ઘણા યુવાનોને પોતાના સપનાં પૂરા કરવા માટે પ્રોત્સાહન આપશે.











