ગાંધીનગર: ગુજરાત વિધાન સભાના આઠમા સત્રમાં તારાંકિત પ્રશ્નોત્તરીમાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નમાં જણાવ્યું હતું કે, નવસારી અને વલસાડ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો કેટલો ? ડ્રોપ આઉટ ઘટાડવા માટે શા પગલાં લેવામાં આવ્યા ?
Decision News ને મળેલી જાણકારી મુજબ વાંસદા- ચીખલીના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં પ્રાથમિક- માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીએ છાપેલો જવાબ આપ્યો હતો કે, ખેરગામ, ગણદેવી તાલુકામાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો ત્યારે વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં ગતવર્ષ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે. તેમજ આદિવાસી વિસ્તાર ધરમપુર તેમજ કપરડામાં આ રેશિયો વધ્યો છે. ડ્રોપ આઉટ ઘટાડવા માટે કયા પગલાં લેવામાં આવ્યા એના જવાબમાં મફત પરિવહન સુવિધાની તેમજ અન્ય સુવિધાની વાતો કરી પરંતુ આદિવાસી વિસ્તારમાં ‘ઈકોવાન’ મારફતે બાળકો શાળાથી ઘરે અને ઘરથી શાળાએ જાય પરંતુ આ ‘ઇકોવાન’ ટેક્સી પાસિંગ ન હોવાને કારણે પરિવહન માટે વાહનો બંધ છે. જેના કારણે પણ ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે.
દક્ષિણ ગુજરાતના મોટાભાગના આદિવાસી વિસ્તારના વાલીઓ શેરડી કટિંગ કે બીજા કામ અર્થે સ્થળાંતર કરતાં હોય છે જેના કારણે પણ ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે. અનંત પટેલે જણાવ્યું હતું કે, ડ્રોપ આઉટ રેશિયો સુધારવો હોય તો મફત પરિવહન સુવિધા ઉભી કરવું પડે.











