નવીન: સુપ્રીમ કોર્ટે નાગરિકોને મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યુ કે સ્પષ્ટ કર્યું છે કે, જે ગુનાઓમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં પોલીસ કોઈ પણ વ્યક્તિની સીધી ધરપકડ કરી શકશે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, ધરપકડ પહેલા આરોપીને નોટિસ આપવી ફરજિયાત છે અને આ પ્રક્રિયા વગર કરાયેલી ધરપકડ ગેરકાયદે ગણાશે.
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્થે આ ચુકાદો આપતા કહ્યું કે, “ધરપકડ કરવી એ પોલીસનો અધિકાર હોઈ શકે છે, પરંતુ તે કોઈ મજબૂરી કે રૂટિન પ્રક્રિયા નથી.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે તપાસમાં સહકાર આપતા વ્યક્તિની ધરપકડ ટાળવી જોઈએ.
કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ 7 વર્ષ સુધીની સજાવાળા કેસમાં પહેલા નોટિસ આપવાનો નિયમ છે. આ નોટિસ દ્વારા આરોપીને તપાસમાં હાજર રહેવા અને સહયોગ કરવા માટે જણાવવામાં આવે છે. જો પરિસ્થિતિ ગંભીર હોય તો પણ, જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ધરપકડ કરી શકાશે નહીં. ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી કરી હતી કે, પોલીસ માત્ર પૂછપરછ કરવાના બહાને કોઇની ધરપકડ કરી શકે નહીં. ધરપકડ કરવા માટે પોલીસ અધિકારી પાસે નક્કર અને વાજબી કારણો હોવા જોઈએ. નોટિસ આપવી એ સામાન્ય પ્રક્રિયા છે, જ્યારે ધરપકડ એ છેલ્લો અને અપવાદરૂપ વિકલ્પ હોવો જોઈએ.











