વ્યારા: વ્યારા તાલુકામાં આવેલા જેતવાડી ગામની રહેવાસી સ્વ. સેજલબેન રાકેશભાઈ ગામીતનું દુઃખદ અવસાન થયું હતું. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા, ઇન્દુ ખાતે અભ્યાસ કરી રહેલી આ દીકરીનું ચાલુ અભ્યાસ દરમિયાન અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ પ્રસંગે આજ રોજ સ્વ. સેજલબેનના નિવાસ સ્થાને મંત્રી નરેશ પટેલ પહોંચ્યા હતા. તેમણે દીકરીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી, પરિવારજનોને ઊંડી સાંત્વના પાઠવી અને દુઃખના સમયે તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી. આ સાથે, સરકાર તરફથી પરિવારને આર્થિક સહાય તરીકે 5,00,000/- ની સહાય મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત આવાસ સહાય પણ મંજૂર કરાઈ છે. બંને સહાયની રકમના ચેક પરિવારને સોંપવામાં આવ્યા હતા, જેથી પરિવારને આર્થિક મુશ્કેલીઓમાંથી કેટલીક રાહત મળી શકે.

બીજી તરફ, વ્યારા તાલુકાના ગૂંમઠી ફળિયું, ઉંચામાળા વિસ્તારની રહેવાસી દીકરી સેજલબેન સુરેશભાઈ ગામીતની પ્રતિભાને પણ સલામ કરવામાં આવી. 89% દિવ્યાંગત્વ હોવા છતાં અને પિતાની છત્રછાયા ન હોવા છતાં આ દીકરી અદ્ભુત ચિત્રકામ (પેઇન્ટિંગ) ની કલાકારી કરે છે. તેમના નિવાસ સ્થાને મુલાકાત લઈને તેમને મળી, તેમની કલાની પ્રશંસા કરી અને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.

આ બંને પ્રસંગો દ્વારા સરકાર અને સમાજની સંવેદનશીલતા તેમજ પ્રતિભાને પ્રોત્સાહન આપવાની ભાવના પ્રતિબિંબિત થાય છે. દુઃખના સમયે સહાય અને પડકારો વચ્ચે પણ પ્રતિભાને ઓળખીને તેને પાંખ આપવાનું કાર્ય પ્રશંસનીય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here