ખેરગામ: ખેરગામના તબિબ દંપત્તિની રેસ્ટોરન્ટમાં કાજૂની ડિલિવરી માટે એડવાન્સમાં રૂપિયા લઇ લીધા પછી કાજુનો માલ ડિલિવરી નહીં કરતા તબિબ દ્વારા પોતાના વારંવાર રૂપિયા માંગવા છતાં ફોન ઉપાડવાનું બંધ કરી દેનાર પરેશ વાડિયા નામના ઠગ વિરુદ્ધ ધરમપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ડો. નિરવ ભુલાભાઇ પટેલ મહા શિવરાત્રીના દિવસે ખેરગામમાં પોતાની હોસ્પિટલમાં પેસન્ટ જોઈ રહ્યા હતાં ત્યારે 635261** નંબર પરથી ગાંધીનગર CID ક્રાઇમ સેક્ટર 16 માંથી ડો.જુહી બોલું છું અને તમારી પરેશ વાડિયા સાથે શુ મેટર છે, જે હોય તે પતાવી દેજો નહીંતર એવી ધમકી ભર્યો ફોન આવતા ડો.નિરવ પટેલે ખેરગામ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી, જેના પર લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં, ડો.નિરવ પટેલે પોતાની રીતે ફોન કરનાર મહિલાની તપાસ આદરતા એ મહિલા ખેડા જિલ્લાની મયુરી વાઘેલા નામની ફ્રોડ CID ક્રાઇમ નીકળતા એ બાબતની જાણકારી ખેરગામ પોલિસને આપેલ, તેમ છતાં કોઈ ખેરગામ પોલિસ દ્વારા બદઇરાદે કોઈ કાર્યવાહી નહીં થતાં કંટાળીને ડો. નિરવ પટેલે કરેલી કાર્યવાહી જાણવા RTI કરતા ખેરગામ પોલીસનો તદ્દન ઉડાઉ આંચકાજનક જવાબ મળેલ કે અમે 2 વખત નોટિસ મોકલેલ છે. પરંતુ એ મહિલા હાજર થતી નથી અને ઓડિયોમાં એ મહિલાએ કોઈ ધાકધમકી આપેલ નથી અને સમાધાન માટે જ ફોન કરેલ છે આથી અરજદારની અરજી દફ્તરે કરવામાં આવે છે. પરંતુ CID ક્રાઇમ જેવી મહત્વની સરકારી સંસ્થાના નામનો દુરુપયોગ કરવા બાબતે કોઈ ખુલાસો આપેલ નહીં અને ઉપરથી એ મહિલાને ક્લીનચિટ આપી દેતા, કાયદાના રખેવાળો દ્વારા આવા વલણથી નારાજ થઈને ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા વલસાડના જાણીતાં વકીલ કેયુર પટેલ મારફતે ખેરગામ પોલિસને નોટિસ ફટકારી દિન 15 માં નિયમોનુસાર યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા જણાવેલ છે અને જો ઇન્સ્પેક્ટર પીનલ ચૌધરી આમ કરવામાં નિષ્ફ્ળ જશે તો ફ્રોડ કરનાર મહિલા સાથે સંભવિત સાંઠગાંઠ બદલ PI અને તપાસ અધિકારી મોહન પવાર વિરુદ્ધ નામદાર ખેરગામ કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે CID ક્રાઇમના નામનો દુરુપયોગ કરનાર મહિલા પ્રત્યે ખેરગામ પોલિસનો સોફ્ટ કોર્નર એકદમ શંકાસ્પદ બાબત છે. ખેરગામ પોલિસના મતે કોઈના નામનો દુરુપયોગ ગુનો નહીં હોય તો અત્યારસુધીમાં PMOના નામનો દુરુપયોગ કરનાર ઈસમ સામેની કાયદાકીય કાર્યવાહી પણ ખોટી કહેવાય, એવી જ રીતે અત્યાર સુધી નકલી ધારાસભ્ય, જજ, અધિકારીઓ, કચેરીઓ પકડાઈ તે પણ યોગ્ય જ કહેવાતી હશે એવું અમારું માનવું છે. કેટલાંક રાજકીય વગ ધરાવતા લોકોના ઈશારે અમારા વિરુદ્ધ તદ્દન ખોટી ઉપજાવી કાઢેલી વાર્તાઓના આધારે કોઈપણ જાતની તપાસ કર્યા વગર તાત્કાલિક ધોરણે 4-4 FIR કરવામાં કોઈ કચાસ નહીં રાખનાર ખેરગામ પોલિસ અમારી કોઈપણ પુરાવાઓ સહીતની ફરિયાદો લેવામાં પણ ભારે ઠાગાથૈયાં કરીને ધક્કા ખવડાવીને કિંમતી સમય વેડફીને મોરલ તોડવાનો પ્રયાસ કરતી હોય છે અને અમે ઉપરીઓ સમક્ષ ફરિયાદ કર્યે ત્યારે 4 કેસોનો હવાલો આપીને અમને પોલિસ વિરોધી હોવાથી ફરિયાદો કરી રહ્યા હોવાનું ઉપરીઓ સમક્ષ તદ્દન ખોટું ચિત્ર ઉપસાવવાની કોશિષ કરતી આવેલ છે.
તપાસ કર્મચારી મોહન પવારના ખુદના જણાવ્યા અનુસાર 2-2 વખત નોટિસ મોકલવા છતાં CID ક્રાઇમના નામે ફોન કરી ધાકધમકી આપી ફ્રોડ કરનાર મહિલા પ્રત્યે પીઆઇ પીનલ ચૌધરી અને ASI મોહન પવારને આટલુ વ્હાલ કેમ છે તે અમારા મનનો મોટો પ્રશ્ન છે. જો કે હું આગોતરા જામીન મેળવવા માટે પોલિસ પહોંચથી દૂર હતો ત્યારે મારી 4.5 વર્ષની નાનકડી દિકરી જે હજુ શાળામાં માંડ જતી થયેલ હોય અને જેણે દુનિયા પણ હજુ સમજી કે જોઈ નથી એને ધમકાવવા જતાં મોહન પવાર જેવા વ્યક્તિઓ પાસે નૈતિકતાની અપેક્ષા રાખવી એ જ વ્યર્થ બાબત છે.આવા વ્યક્તિઓ બેફામપણે ચાલતા દારૂ, ચરસ-ગાંજા, જુગારના અડ્ડાઓ સામે શૂરવીર નથી બની શકતા એટલે અમારા જેવા સિસ્ટમના સડા દૂર કરવા મથતાં યુવાનેતાઓના પરિવારજનો સામે જ શૂરવીર બની જતાં હોય છે.
પરંતુ નવા આવેલા PI પીનલબેનનો રવૈયો પણ આઘાતજનક રહ્યો છે, એક મહિલા થઈને મહિલા તબીબની ફરિયાદ પર સંવેદનશીલતા દાખવવાના બદલે આવા સાયબરફ્રોડને સહકાર આપવાનું વલણ ચોકાવનારું કહેવાય. એકબાજુ સરકાર 1930 નંબર જાહેર કરી સાયબર ક્રાઇમ ડામવા સતત પ્રયત્નશીલ છે ત્યારે બીજીબાજુ પોલીસના આવા વલણના લીધે જ સાયબર ક્રિમિનલો ફાટીને ધુમાડે ગયા છે, જેનો ભોગ લાખો સામાન્ય માણસો તો બન્યા જ છે પરંતુ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુજી જેવા રાષ્ટ્રીય દરજ્જાના નેતાઓ પણ બની ચુક્યા છે.લોકો કાયદાકીય રીતે વર્તે તેવી સલાહ આપનાર ખેરગામ પોલિસ પોતે કાયદાનું પાલન કરવામાં ઘણીવાર નિષ્ફ્ળ નીવડી રહી છે. ત્યારે ડૉ. દંપતી એ જણાવ્યું કે જયારે અનહદ ખોટું કરશે તો એવા લોકોને નામદાર અદાલત સમક્ષ લઇ જતાં અચકાઈશું નહીં. આ બાબતે PI શ્રીમતિ પીનલ ચૌધરી 15 દિવસમાં શુ કાર્યવાહી કરે છે તે અમે રાહ જોઈશું નહીંતર દિવાળી પછી અન્ય પણ ઘણી બાબતોમાં પોલિસ દ્વારા ખોટું કરવામાં આવેલ છે તે તમામ બાબતે નામદાર અદાલત સમક્ષ ન્યાય મેળવવા ઉપસ્થિત થઈશું.











