દક્ષિણ ગુજરાત: વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં 27 અને 28 સપ્ટેમ્બર, 2025ના રોજ આવેલા મીની વાવાઝોડા અને ભારે વરસાદને કારણે 41,840 ગ્રાહકોના વીજ પુરવઠાને અસર થઈ હતી. DGVCL દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.આ વાવાઝોડા અને તોફાની પવનને કારણે વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું. અનેક HT અને LT વીજ પોલ તેમજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતા. વીજ તારો તૂટી પડયા હતા અને વૃક્ષો વીજ લાઇન પર પડવાને કારણે વિતરણ નેટવર્કને નુકસાન થયું હતું.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ વર્તુળ કચેરી દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. સમગ્ર પુનઃસ્થાપન કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું. વિભાગીય સ્તરે તમામ અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ તાત્કાલિક કામગીરીમાં જોડાયા હતા.સ્થાનિક સાધનો ઉપરાંત વધારાની મશીનરી, વાહનો અને આશરે 40 કોન્ટ્રાક્ટર ગેંગોને પણ કાર્યરત કરવામાં આવી હતી. ખાસ કરીને ચીખલી, બિલીમોરા ગ્રામ્ય વિસ્તારો, વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તાર તેમજ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક નુકસાન થયું હતું.
વલસાડ જિલ્લામાં 1 HT પોલ, 35 LT પોલ અને 1 ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી 1,266 ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા. નવસારી જિલ્લામાં 114 HT પોલ, 130 LT પોલ અને 9 ટ્રાન્સફોર્મરને નુકસાન થતા 36,754 ગ્રાહકોના વીજ પુરવઠા પર અસર થઈ હતી.ડાંગ જિલ્લામાં કુલ 19 HT પોલ, 2 LT પોલ અને 2 ટ્રાન્સફોર્મરને નુકસાન થવાથી 3,820 ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા. આમ, વલસાડ વર્તુળ વિસ્તારમાં કુલ 134 HT પોલ, 167 LT પોલ અને 12 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું. DGVCLની ટીમો દ્વારા દિવસ-રાત મરામત કામગીરી હાથ ધરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરવામાં આવ્યો.

