વલસાડ: વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48ની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. બગવાડા ટોલનાકા નજીક રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે સ્થાનિક લોકોએ આજે ચક્કાજામ કર્યો હતો.છેલ્લા એક મહિનાથી સ્થાનિક રહીશો ધૂળિયા વાતાવરણમાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વરસાદમાં રસ્તા પર પડેલા ખાડાઓ અને સૂકી ઋતુમાં ધૂળની ડમરીઓથી લોકો ત્રસ્ત છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને આ સમસ્યાથી વાકેફ કર્યા હતા.
અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા સ્થાનિકોએ હાઇવે પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ રસ્તાની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિકો સાથે વાતચીત કરી સમજાવટથી મામલો શાંત પાડયો હતો અને હાઇવે પરનો વાહનવ્યવહાર પુનः શરૂ કરાવ્યો હતો.

