નવસારી: નવસારી જિલ્લાના જીવનદાયી જૂજ ડેમમાં પાણીની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે. ડેમમાં 84.650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ કારણે વહીવટી તંત્રએ વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના 23 નિચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે.

વહીવટી તંત્રએ લોકોને નદીકિનારે ન જવા સૂચના આપી છે. જૂજ અને કેલીયા ડેમથી આખું વર્ષ ખેડૂતો અને ગ્રામજનોને પીવા તેમજ સિંચાઈ માટેનું પાણી મળી રહેશે. નવસારી જિલ્લામાં મુખ્યત્વે શેરડી, ડાંગર અને શાકભાજીની ખેતી થાય છે, જેમાં આ ડેમનું પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દર વર્ષે ચોમાસામાં ડેમ ઓવરફ્લો થવાની ઘટના ખેડૂતો માટે આનંદનો અવસર બને છે. સ્થાનિક લોકો આ પ્રસંગે ડેમ પર જઈને પૂજા-અર્ચના પણ કરે છે. જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમ છલકાયો છે. આગામી વર્ષ માટે નહેર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.