કપરાડા:કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ટોકરપાડા અને બોરપાડા વચ્ચેથી પસાર થતી પાર નદી પરનો કોઝવે ડૂબાણમાં જતા લોકોને હાલાકી ઉઠાવવી પડી રહી છે. દૂધ કલેક્શન માટે આવતું વાહન કોઝવે ડૂબી જતાં આવી નહીં શકતું હોવાથી લોકોને મુશ્કેલીનો.સામનો કરવો પડે છે. વર્ષોથી ચોમાસામાં ઉભી થતી આ સમસ્યા વચ્ચે અહીં બ્રીજ માટે સૈદ્ધાંતિક મંજુરી મળી છે. જેને લઈ વર્ષોથી હાલાકી ઉઠાવતા આવી રહેલા લોકોને સુવિધા ઉભી થશે.ધરમપુરના ધામણીથી ટોકરપાડા રસ્તા વચ્ચેથી પસાર થતી પાર નદી પર આવેલા 06 કોઝવે ડૂબાણમાં જતા આશરે 11 ગામોના હજારો લોકોને હાલાકી પડતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આર.એન્ડ.બી. સ્ટેટ ધરમપુરની સરકારમાં દરખાસ્ત તથા ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની અંતરિયાળ વિસ્તારના લોકોની સુખાકારી અને સુવિધા માટે સરકારમાં કરેલી રજુઆત ડૂબાઉ કોઝવેના સ્થાને 06 નવા બ્રીજના નિર્માણ કરવા માટે રૂપિયા 76.15 કરોડની સૈદ્ધાંતિક મંજુરી સાથે ફળી હતી. જેને લઈ આ રસ્તા પર બ્રીજ બનવાથી હજારો લોકોની ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર થવાની આશા ઉભી થઇ છે.
ધરમપુરથી ધામણી થઈ ટોકર પાડા તરફ વિવિધ ગામોને જોડતાં રસ્તા વચ્ચેથી પસાર થતી પાર નદી પર ધાકવળથી નાંદગામ, નાંદગામથી મોહનાકાવચાળી, મોહનાકાવચાળીથી ચિચપાડા,ચિચપાડાથી માની,માનીથી વાંસદા જંગલ અને વાંસદા જંગલથી બોરપાડાથઇ ટોકરપાડા મળી કુલ 6 કોઝવે ચોમાસામાં ડૂબાણમાં જતા ઘણા ગામોને અન્ય વિસ્તાર થઈ લાંબો ચકરાવો લેવાની નોબત આવતી હોય છે. અહીંથી શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, પશુપાલન અને અન્ય કામકાજના સ્થળોએ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.











