ડીસીઝન વિશેષ: દુનિયામાં શોષિતો ઉપર કરવામાં આવતાં અત્યાચારોને ઉજાગર કરવામાં પત્રકારત્વ નું ખુબ જ મોટું યોગદાન રહેલું છે. આ ઉપરાંત લોકશાહી રાષ્ટ્રમાં તો પત્રકારત્વ ને ચોથો સ્તંભ કહેવાય છે જેનાં કારણે લોકશાહી ટકી શકે છે. એક જાગૃત, સતર્ક, નીડર, નિર્ભિક, નૈતિક મૂલ્યો નો ઉપાસક પત્રકાર સમાજ ને તેની ત્રુટીઓનું ના તો માત્ર દર્શન કરાવે છે પરંતુ સાથે સાથે સમાજના વિકાસનું માર્ગદર્શન પણ કરતો હોય છે. ત્યારે આવો જોઈએ એક વ્યક્તિત્વમાં જુદા જુદા ડૉ. બાબાસાહેબ આંબેડકર માંના એક એટલે પત્રકાર ડૉ.બાબાસાહેબ આંબેડકર..
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સમાચારપત્રોનો ખુબ મોટો ફાળો છે, સમાચારપત્રો એ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમાચારપત્રો જાતિભેદ, અમાનવીય વર્તન, જાતિગત અસ્પૃશ્યતા, ભેદભાવ, જાતિગત હિંસા, જાતિ ને કારણે ઊભો કરવામાં આવેલો દ્વેષ, પાખંડ, કુરીતિઓ, મ વગેરે જેવાં ભારતીય સમાજ ને અંદરથી નિર્બળ બનાવતાં શત્રુઓ નું ઉન્મુલન કરવા માટે પ્રકાશિત કર્યાં જેથી સમાજ માં માનવીય મૂલ્યો નું તથા માનવીય અધિકારો નું રક્ષણ થઈ શકે. આ દીશામાં ભારતીય સંવિધાન એ એમની સાધના નું ઉત્કૃષ્ટ પ્રતિક છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે “મૂક નાયક” નામનાં પાક્ષિકની શરૂઆત 31 જાન્યુઆરી 1920 નાં દિવસે કરી હતી, પરંતુ કેટલાક કારણોસર એ સાપ્તાહિક બંધ કરવું પડ્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકર એવું ચોક્કસ માનતાં હતાં કે અસ્પૃશ્ય સમુદાયનો અવાજ યોગ્ય અને દ્રઢતા થી રજૂ કરી શકે તથા તેમની સમસ્યાઓને વાચા આપી શકે તેવું એક માધ્યમ હોવું અનિવાર્ય છે. એ સમયમાં જ્યારે સંચાર માધ્યમો નાં વિકાસ આજના જેવો નહોતો ત્યારે મુદ્રિત સાહિત્ય જેવાં કે દૈનિક અખબાર, સાપ્તાહિક, પાક્ષિક કે માસિક વગેરે જેવાં મેગેઝીન જ રોજબરોજ ની ઘટનાઓ ની જાણકારી માટે નાં સૌથી સબળ અને સુલભ સાધનો હતાં. ત્યારે અસ્પૃશ્ય સમુદાય નો અવાજ રજૂ કરવા તથા પોતાના વિચારો સમાજ તથા લાગતાવળગતા વ્યક્તિ, સત્તા સુધી પહોંચાડવા હેતુ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાનાં નેતૃત્વ હેઠળ 3જી એપ્રિલ 1927 નાં દિવસે “બહિષ્કૃત ભારત” ની શરૂઆત કરી. આ સાપ્તાહિક પત્રિકા નું સંપાદન તેઓ પોતે જ કરતાં હતાં. આજે 29 જૂનના દિવસે 1928 માં ‘સમતા’ નામના પાક્ષિક સમાચાર પત્રનો આરંભ કર્યો હતો.
પોતાના સામાયિક દ્વારા બહિષ્કૃત, અસ્પૃશ્ય સમુદાય ની લાગણી ઓને રજૂ કરવામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર માં રહેલાં નિર્ભિક, નીડર, સત્ય રજૂ કરનાર, બહિષ્કૃત સમુદાયનાં અવાજ ને મજબુત રીતે જાહેરમાં રજૂ કરતાં પત્રકારનાં દર્શન થાય છે. આ બાબતનું તાદ્રશ ઉદાહરણ એમનો એક સંપાદકીય લેખ છે જેમાં એમણે સનાતન પરંપરા ઉપર લાગેલાં અસ્પૃશ્યતા રૂપી કલંકનું કઠોર અને એનાં અસલ સ્વરૂપમાં નિરૂપણ કરતાં લખ્યું, ” રખડતાં કૂતરાં બિલાડી જે અસ્પૃશ્યોનો એંઠવાડ પણ ખાય છે અને તે બાળકોનો મળ પણ ખાઈ જાય છે, બાદમાં કથિત ઊંચા, સ્પૃશ્ય લોકોનાં ઘરમાં જાય છે પરંતુ ત્યારે એમને અસ્પૃશ્યતા નથી અડતી, એમની જમવાની થાળીમાં મોઢું નાખી દે છે તો પણ કોઈને આપત્તિ નથી હોતી કે તકલીફ નથી થતી પરંતુ જો એક અસ્પૃશ્ય તેમનાં ઘરની નજીક થી કામ અર્થે નીકળે તો ઝડપથી દિવાલને ચોંટી ને ઊભા રહી જાય છે, ઘરનો માલિક દૂરથી જોઈને જ કહે છે કે “અરે અરે દૂર રહેજે ત્યાં છોકરાંનું મેલું નાંખવાનું ચેંઠીયુ પડ્યું છે” ” કહેવાની જરાક પણ જરૂર નથી કે આ ટીપ્પણી તે વખતે જાતિઓમાં વિભાજીત થયેલા, જાતિગત અસ્પૃશ્યતા અને ભેદભાવ માં આળોટતા ભારતીય સમાજનું દર્પણ છે.
રાષ્ટ્રમાં પત્રકારત્વને ચોથો સ્તંભ કહેવાય છે જેનાં કારણે લોકશાહી ટકી શકે છે. સમાચારપત્રોના માધ્યમ થી જ ભારતીય સમાજમાં પરિવર્તન ની શરૂઆત થઈ એવું કહેવું જરાક પણ અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય. દરેક વ્યક્તિ ને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે અને એ માટે તે સ્વતંત્ર પણ છે.

