અંકલેશ્વર: “મારે મારા પપ્પા પાસે જવું છે, મને મારા પપ્પા પાસે લઇ જાવ”. કરૂણ આક્રંદ સાથે પિતાના મૃતદેહ પાસે બેસી દીકરીએ કરેલાં આક્રંદે સૌના હૈયા પીગળાવી દીધાં હતાં. બે દિવસ પહેલાં અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસે કારે ટકકર મારતાં બાઇક સવાર યુુવાનનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં દોડી આવેલી તેની પત્ની અને દીકરીના આક્રંદે વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું. ચોમાસાની હજી શરૂઆત છે ત્યાં જ ઉછાલી ગામ પાસે રોડ પર મોટા ખાડાઓ પડી ગયાં છે.
દર વર્ષે રીપેરિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં રસ્તાઓ પહેલાં જ વરસાદમાં ખખડધજ બની જાય છે અને તેના પરિણામે અનેક પરિવારો નંદવાઇ જતાં હોય છે. Decision news ને મળેલી માહિતી મુજબ મૃતક રાજુ ચીખલીયા ઉછાલી પાસેના એક ફાર્મમાં કામ કરતાં હતાં તેઓ બાઇક લઇને કામ માટે નીકળ્યાં હતાં અને થોડે દૂર જ પહોંચ્યાં ત્યાં કારના ચાલકે તેમને ટકકર મારી હતી. અકસ્માતની જાણ થતાં મૃતકના પરિવારજનો તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પિતાના મૃતદેહને જોઈને પત્ની અને બાળકોએ આક્રંદ કર્યું હતું.
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રોડના નવીનીકરણ દરમિયાન માર્ગની સ્થિતિ બિસ્માર છે. વરસાદને કારણે રસ્તો વધુ ખરાબ થયો છે. આ કારણે વાહન ચાલકો ખાડાઓમાં પટકાઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. દીકરીઓ પિતાના મૃતદેહ પાસે બેસીને મારે પપ્પા પાસે જવું છે, મારા પપ્પા તેમ કહી રડતી હોવાથી તેને સાંત્વના આપવા માટે શબ્દો પણ ખૂટી પડયાં હતાં.

