ઝઘડિયા: ઝઘડિયા અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની નેરોગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી છે પણ એક તરફ ટ્રેન તો બંધ થઇ ગઇ છે પણ બીજી તરફ રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલાં ગરનાળાઓ આસપાસના ગામના લોકો માટે આફત બની ગયાં છે. રેલવે વિભાગે ગરનાળા તો બનાવી દીધાં છે પણ તેમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહિ કરતાં દર ચોમાસામાં હજારો ગામલોકો હાલાકીનો સામનો કરી રહયાં છે. અંકલેશ્વરથી કેવડિયાને જોડતા સ્ટેટ હાઇવેથી માત્ર 50 થી 100 મીટરના અંતરે જ રેલવે લાઇન હોવાથી હાઇવેનું પાણી વહીને રેલવે લાઇન તરફ આવે છે અને ગરનાળાઓમાં ભરાઇ રહેતું હોવાથી ગામો સંપર્ક વિહોણા બની જાય છે.

દર ચોમાસામાં ગામ લોકોને સ્વખર્ચે પંપ મુકીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડતી હોય છે. 12 વર્ષ પહેલાં અંકલેશ્વરથી રાજપીપળાને જોડતી નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન જયાં ફાટક હતી ત્યાં અંડરપાસ ( ગરનાળા) બનાવી દેવામાં આવ્યાં હતાં.આ સમયે રેલવે વિભાગે પાણીનો નિકાલ કેવી રીતે થશે, નિકાલની ભૌગોલિક સ્થિતિ શું છે તેની દરકાર રાખ્યાં વિના જ ગરનાળા બનાવી દીધાં હતાં.

હાલ તો અંકલેશ્વર અને રાજપીપળા વચ્ચે દોડતી ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી છે પણ ગરનાળા આસપાસના લોકો માટે આફતરૂપ બની ગયાં છે. ઝઘડિયા જીઆઇડીસીને જોડતા ખરચી પાસેના આ રોડ પર રેલવે દ્વારા અંદર પાસ એટલે કે ગળનાળુ બનાવ્યું છે, આજરોજ વહેલી સવારે આ ગળનાળામાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો હતો, ઝઘડિયા જીઆઇડીસીમાં કંપની કર્મચારીઓને લઈને જતી એક મીની લક્ઝરીના ચાલકે ના છૂટકે સમયસર કંપની પર પહોંચવા માટે આ ઘૂંટણ સમા પાણીમાં પોતાનું વાહન ઉતારી ત્યાંથી પસાર થવું પડયું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here