દિલ્હી: ભારતીય ઘરોમાં ગેસ માટે ઉપયોગમાં લેવામાં આવતા દર ત્રણ સિલિન્ડરમાંથી બે સિલિન્ડર પશ્ચિમ એશિયાથી આવે છે. હવે ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાય છે તો આ પુરવઠામાં અવરોધ સર્જાઈ શકે છે. તેના લીધે સૌથી વધુ ઝાટકો રાજકીય રીતે સંવેદનશીલ કહી શકાય તેવા ગેસ સિલિન્ડર ધારકોના ઘરોને જ લાગશે. દેશમાં ૩૩ કરોડ ગેસ સિલિન્ડર જોડાણ છે.
આ ૩૩ કરોડ એલપીજી જોડાણની સામે પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) જોડાણની સંખ્યા ૧.૫ કરોડ છે. આ સંખ્યા વધી રહી છે, પણ તેને એલપીજી જોડાણના સ્તરે પહોંચવામાં ખાસ્સો સમય લાગી શકે તેમ છે. કમસેકમ બે દાયકા તેને લાગે તેમ માનવામાં આવે છે. પેટ્રોલિયમ પ્રધાન હરદીપપુરીએ ખાતરી આપી છે કે વિશ્વના ત્રીજા નંબરના તેલ આયાતકાર દેશ અને ચોથા સૌથી મોટા ગેસ ખરીદદાર ભારત આગામી કેટલાય અઠવાડિયાઓ સુધી તેની ઉર્જા જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે.
ભારતીય નિષ્ણાતો માને છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ લંબાય તો સૌથી અસુરક્ષિત પુરવઠો હોય તો તે એલપીજીનો છે. છેલ્લા દાયકામાં સરકારના પ્રયત્નોના લીધે એલપીજીનો ઉપયોગ બમણો થઈ ૩૩ કરોડ ઘરો સુધી પહોંચી ગયો છે. તેનાથી દેશની આયાત પરની નિર્ભરતા વધી છે. દેશની કુલ એલપીજીમાં ૬૬ ટકા હિસ્સો વિદેશથી આવે છે. તેમા ૯૫ ટકા હિસ્સો સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કતર જેવા પશ્ચિમી એશિયન દેશોમાંથી આવે છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના આંકડા મુજબ ભારત પાસે આયાત ટર્મિનલ, રિફાઇનરીઓ અને બોટલિંગ પ્લાન્ટમાં જેટલી એલપીજી જમા કરવાની ક્ષમતા છે તે રાષ્ટ્રીય વપરાશની સરેરાશના ૧૬ દિવસ સુધી ચાલે તેટલી જ છે. એલપીજી અમેરિકા, યુરોપ, મલેશિયા અને આફ્રિકા જેવૈ વૈકલ્પિક સ્તોતો પાસેથી પણ મંગાવી શકાય છે.

