આગાહી: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જોકે શરૂઆતના દિવસોમાં વરસાદનું જોર ઓછું રહેશે. જે બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સુરતના ઉમરપાડામાં અઢી ઇંચ અને નર્મદાના સાગબારામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડયો છે. ત્યારે અમદવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
22 જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 8 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ કચ્છ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર સહિત વિવિધ જિલ્લામાં NDRFની 12 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જ્યારે અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, 24થી 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ પડશે.
આજે આ જિલ્લામાં વરસાદની શક્યતા: આજે 21 જૂનના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

