વલસાડ: વલસાડ શિક્ષણ વિભાગે શાળાઓમાં કરેલા સર્વેમાં ચિંતાજનક બાબતો સામે આવી છે. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ ચોક્કસ દુકાન કે બ્રાન્ડમાંથી ખરીદવા દબાણ કરતી હોવાનું જાણવા મળ્યું છે.
આ મુદ્દે શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડયો છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે શાળાઓ વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ દુકાન કે બ્રાન્ડમાંથી કપડાં, પુસ્તકો કે અન્ય વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખી શકશે નહીં. વાલીઓ પોતાની પસંદગીની દુકાનમાંથી સામાન ખરીદી શકશે.આ નિર્ણય ‘મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-2009’ અને રાજ્ય સરકારના અગાઉના ઠરાવો પર આધારિત છે.
જો કોઈ શાળા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.વાલીઓને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ શાળા ચોક્કસ દુકાનમાંથી ખરીદી માટે દબાણ કરે તો તાત્કાલિક શિક્ષણ વિભાગને જાણ કરે. શાળાઓએ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્વતંત્રતા જાળવવી જરૂરી છે અને વાલી-વિદ્યાર્થીઓને પોતાની પસંદગી મુજબ ખરીદી કરવાની છૂટ આપવી જોઈએ.

