કેવડિયા: નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ટાવર પર ચડી જવાની ઘટનાઓમાં વધારો થયો છે. સ્થાનિક લોકો પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લાઇટ હેવી લાઇના ટાવર, મોબાઇલ ટાવર અને કેબલ ક્રેન જેવી જોખમી જગ્યાઓ પર ચડી જઈ રહ્યા છે, જેનાથી તેમના જીવને જોખમ સર્જાય છે. આ ઘટનાઓ પાછળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટને લગતી સમસ્યાઓ અને વહીવટી તંત્રની ઉદાસીનતા મુખ્ય કારણો હોવાનું સામે આવ્યું છે.

આજે ફરી કેવડિયા થી 5 કિમી ના અંતર પર આવેલ ગોરા કોલોની હનુમાજી મંદિર પાસે ત્રણ યુવાનો મોબાઈલ ટાવર પર ચઢીને અનોખું આંદોલન શરૂ કર્યું છે. મહેશભાઈ તડવી, બાલુભાઈ તડવી અને પ્રવીણભાઈ તડવી નોકરી અને જમીનની માગણી સાથે ટાવર પર ચઢી ગયા હતા.

આ યુવકોનો આક્ષેપ છે કે યુપી-બિહારથી આવેલા લોકોને અસરગ્રસ્ત જાહેર કરીને ઘર, નોકરી અને અન્ય લાભો આપવામાં આવ્યા છે. તેમને જમીન આપવામાં આવી હોવા છતાં કોઈ લાભ મળ્યો નથી. યુવકોએ નોકરી ન મળવા અને કટ ઓફના મુદ્દે પણ ન્યાય ન મળવાની ફરિયાદ કરી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર સક્રિય થઈ ગયું છે. યુવકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે નર્મદા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ યુવકોની માગણીઓ અંગે વાટાઘાટો ચાલી રહી છે.

સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્તોને યોગ્ય વળતર અને પુનર્વસનનો પ્રશ્ન હજુ અધૂરો છે. આ ઉપરાંત, વિવિધ પ્રોજેક્ટ્સમાં એજન્સીઓ દ્વારા રાખવામાં આવતા કર્મચારીઓને અચાનક કાઢી મૂકવામાં આવે છે, જેના કારણે આર્થિક સંકટનો સામનો કરતા લોકો આક્રોશ વ્યક્ત કરવા ટાવર પર ચડી જાય છે. લોકોનું કહેવું છે કે, વહીવટી તંત્ર વિરોધથી બચવા ટાવર ની સુરક્ષા માટે હોમગાર્ડ મૂકી દે છે, અને ટાવર આસપાસ જાળી લગાવી દેવામાં આવે છે જેના કારણે લોકો ટાવર પર ચડે નહીં અને વહીવટી તંત્ર આક્રોશથી બચી શકે. પરંતુ આ કાયમી ઉકેલ નથી તંત્રે લોકો સાથે સંવાદ કરવો જોઈએ જેથી આવી ઘાટનો ન બને.

આવી ઘટનાઓને પગલે પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ માત્ર અસ્થાયી ઉકેલ છે. સ્થાનિકોનું કહેવું છે કે, ગુજરાત સરકાર, નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ ખુલ્લા સંવાદ દ્વારા લોકોની સમસ્યાઓ સાંભળવી જોઈએ અને તેનું કાયમી સમાધાન લાવવું જોઈએ. ખાસ કરીને, જમીન સંપાદનના વળતર, રોજગારીની તકો અને કર્મચારીઓની નોકરીની સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે.

નિષ્ણાતોનું માનવું છે કે, વહીવટી તંત્રએ સ્થાનિક સમુદાયો સાથે નિયમિત બેઠકો યોજી, તેમની ફરિયાદો નોંધવા માટે એક સ્વતંત્ર સેલની સ્થાપના કરવી જોઈએ. આ ઉપરાંત, પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક આજીવિકાના સાધનો અને તાલીમ કાર્યક્રમો શરૂ કરવા જોઈએ, અને આદિવાસી હાટ બજાર બનાવવા જોઈએ જેથી નાના મોટા ધંધા શરૂ કરી રોજગારી મેળવી શકે, જેથી તેઓ આર્થિક રીતે સ્વાવલંબી બની શકે.

જો આ મુદ્દાઓનું સમાધાન નહીં આવે, તો આવી ઘટનાઓ ભવિષ્યમાં વધુ તીવ્ર બની શકે છે, જેનાથી કેવડિયા જેવા પ્રવાસન કેન્દ્રની છબીને પણ નુકસાન થઈ શકે છે. સરકાર અને વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લઈ, સ્થાનિકોનો વિશ્વાસ જીતવો જરૂરી છે, જેથી આવી જોખમી ઘટનાઓને અટકાવી શકાય.