કપરાડા: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ખાતે રૂ. 858 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કે. વી. સબ સ્ટેશનનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીના પ્રજાલક્ષી અભિગમને બિરદાવી જણાવ્યું કે, જીતુભાઇ લોકોના કલ્યાકારી પ્રશ્નોનું ધ્યાન રાખી પ્રજાના પ્રશ્નો હલ કરી રહ્યા છે. જીતુભાઇના સહયોગથી કપરાડા તાલુકાના અંભેટી – આસમા બ્રીજ 2.50 કરોડના ખર્ચે અને ગોયમાં અંભેટી બ્રીજની રૂા. 15 કરોડની મંજૂરી મળી ગઇ છે તેની મંત્રીશ્રીએ જાહેરાત કરી તેમને અભિનંદન આપ્યા હતા.મંત્રીશ્રીએ આ પ્રસંગે સ્માર્ટ મીટર લગાવવા માટે કોઇપણ જાતની ગેરસમજ વગર લગાવવા માટે વિનંતી કરી હતી.
લોકસભાના દંડક અને વલસાડ- ડાંગ સાંસદશ્રી ધવલભાઇ પટેલે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટીના વિસ્તારમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે વનબંધુ અને સાગરખેડૂ યોજનાનું અમલીકરણ કર્યુ હતું જે આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાાઇ પટેલના નેતૃત્વમાં સારી રીતે થઇ રહયું છે.
આ પ્રસંગે કપરાડના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીએ કપરાડા તાલુકામાં હાલમાં ૮ સબસ્ટશેનો પૂર્ણ થયા છે અને 2 પ્રોગેસમાં છે તથા 2 માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે જેટકો વડોદરાના મુખ્ય ઇજનેર કે. બી. રાઠોડે સ્વાગત પ્રવચન અને આભારવિધી જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર પી. એન. પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં જેટકો નવસારીના કાર્યપાલક ઇજનેર જે. એલ. ચૌધરી તેમજ જેટકો નવસારીના અધિકારી, કર્મચારીઓ અને અંભેટીના સરપંચ યોગેશભાઇ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

