વલસાડ: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને આજે તારીખ 24/04/2025ની સાંજે મોટા સુરવાડા ગામના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગ્રામજનોએ મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી. તેમણે દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી.

Decision news ને મળેલી માહિતી મુજબ સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.લોકોએ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી. તેમણે સરકાર અને ભારતીય સેના પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી. કાર્યક્રમમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.

વૈદિક શાંતિપાઠ દ્વારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ‘વસુધૈવ કુટુંબકમ’ના સિદ્ધાંત પર ભાર મૂકતા લોકોએ વિશ્વભરમાં શાંતિની સ્થાપના માટે પ્રાર્થના કરી. ગ્રામજનોએ પીડિત પરિવારોને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાનું બળ મળે તેવી પ્રાર્થના કરી. સાથે જ વિશ્વમાંથી આતંકવાદ સમૂળગો નાબૂદ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.