ભરૂચ: ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ. દુલેરા અને ડો. નિલેશ પટેલના નેતૃત્વમાં આ રેલી યોજાઈ હતી. રેલી સ્ટેશન સર્કલથી શરૂ થઈને જિલ્લા પંચાયત કચેરી સુધી નીકળી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન મેલેરિયા રોગ વિશેની માહિતી, સુરક્ષા પગલાં અને સારવાર અંગે બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.આરોગ્ય કર્મચારીઓએ “મેલેરિયા મુક્ત સમાજ માટે સહયોગ આપો” જેવા સૂત્રોચ્ચાર કર્યા.
રેલીનો મુખ્ય ઉદ્દેશ મેલેરિયા જેવી ગંભીર બીમારી અંગે લોક જાગૃતિ વધારવાનો હતો. આરોગ્ય વિભાગની ટીમ જિલ્લાને મેલેરિયા મુક્ત બનાવવા પ્રયત્નશીલ છે. જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાહકજન્ય રોગો અટકાવવા માટે વિવિધ સ્થળોએ જૂથ ચર્ચા, વર્કશોપ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

