સુરત: હાલમાં સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા ચાલું છે. સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. તેમજ રત્નકલાકારોની વિકટ પરિસ્થિતિને પગલે તેમની પણ સરકારી સ્કૂલ પ્રથમ પસંદગી બનતી જોવા મળી રહી છે. બાળકોનું પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન રદ કરાવી સરકારી સ્કૂલમાં એડમિશન કરાવવા લાઈનમાં ઉભા છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલું છે. સુરત શહેરની દરેક સરકારી સ્કૂલમાં એડમિશન મેળવવા માટે વાલીઓ માગ કરી રહ્યા છે. આવું જ દૃશ્ય અમરોલી વિસ્તાર ખાતે આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક સ્કૂલ નંબર 334 માં જોવા મળ્યું હતું. વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે.
Decision News ને વાલીઓએ જણાવ્યું કે હાલ હીરા ઉદ્યોગમાં પરિસ્થિતિ સારી નથી, મારા બંને બાળકોને પ્રાઈવેટ સ્કૂલમાં ભણાવી શકું તેવી મારી સ્થિતિ નથી. તેથી બંનેને એડમિશન અપાવવા માટે હું અહીં આવ્યો છું. અહીં તમામ પ્રકારની સુવિધા અને ભણતર છે, જે પ્રાઈવેટ સ્કૂલમાં મળતું હોય છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક સ્કૂલ નંબર 334 ના આચાર્યએ જણાવ્યું કે, પોતાના બાળકને સ્કૂલમાં એડમિશન મેળવવા માટે વકીલ, ડોક્ટર, એન્જિનિયર અને સરકારી નોકરી કરનારા લોકો આવી રહ્યા છે. અહીં કેમ્પસમાં ત્રણ સરકારી સ્કૂલ છે અને સંયુક્તપણે અહીં એડમિશનની પ્રક્રિયા હાથ ધરાય છે. આ જ કારણ છે કે પોતાના બાળકને સરકારી સ્કૂલમાં એડમિશન અપાવવા માટે મોટી સંખ્યામાં વાલીઓ વહેલી સવારથી જ લાઈનમાં ઊભા થઈ જાય છે.

