રાજપીપળા: રાજપીપળા અંબુપુરાણી રોડ પર એક અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નિપજ્યું છે. સામેથી આવી રહેલી ઈકો કાર સાથે અથડાયા બાદ મોપેડ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન તે બે દિવસ પહેલા જ લગાવવામાં આવેલા લાઈટના થાંભલા સાથે અથડાયો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર મૃતક યુવાનની ઓળખ કનૈયા દિનેશભાઈ માછી ઉર્ફે કાનો તરીકે થઈ છે, જે રાજપીપળાનો રહેવાસી હતો અને શાક માર્કેટમાં સેવ-ઉસળનો વ્યવસાય કરતો હતો. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ ઈકો કાર સાથે અથડાયું હતું. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત ઈકો કારની માલિકી, તેનો રૂટ અને અન્ય વિગતો શોધવાની કામગીરી હાથ ધરી છે. પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

