ગુજરાત: ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠયપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો. 1, 6 થી 8 અને 12 નાં પુસ્તકો નવા તૈયાર કરવામાં આવ્યા છે કે જેમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને નવા પ્રકરણ ઉમેરાયા છે. આ ફેરફાર નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે.
Decision News એ મેળવેલ માહિતી મુજબ રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળના નિર્ણય મુજબ નવા શૈક્ષણિક વર્ષને લઈને નવો અભ્યાસક્રમ નક્કી કરાયો છે. નવા અભ્યાસક્રમમાં કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાયા છે. જેમાં સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો નવા તૈયાર કરાયા છે. જ્યારે ધોરણ 1 અને 8માં ગુજરાતીનું નવું પુસ્તક આવશે. ધોરણ 8માં ગણિત અને વિજ્ઞાનનું નવું પુસ્તક આવશે તો ધોરણ 12માં અર્થશાસ્ત્રના વિષયમાં નવું પુસ્તક આવશે. આ ઉપરાંત ધોરણ 6 માં અંગ્રેજી વિષયનું પુસ્તક બદલવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 7 ના સંસ્કૃત માધ્યમમાં ગણિત અને વિજ્ઞાનનું પુસ્તક નવું આવશે. તેમજ સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ અને સંસ્કૃતમાં પણ નવા પુસ્તક આવશે.
GSEB બોર્ડ અને CBSE બોર્ડ મુજબ ધોરણ 1થી ધોરણ 12 ના અભ્યાસક્રમમાં વિવિધ વિષયોનો સમાવેશ કરાયો છે. ગુજરાતમાં માતૃભાષાને પ્રથમ સ્થાન તેમ અનેક શાળાઓમાં ગુજરાત બોર્ડ મુજબ જુદા જુદા વિષયોના અભ્યાસક્રમને સામેલ કરવામાં આવ્યા છે.

